Site icon Gujarat Mirror

નાના મૌવા પાસે પ્રોવિઝન સ્ટોર સંચાલકનો બીમારીથી કંટાળી એસિડ પી આપઘાત

રાજકોટના નાના મૌવા રોડ પાસે આવેલા ભીમનગરમાં રહેતા અને પોતાના ઘરે જ પ્રોવિઝન સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય કાળુભાઈ દેવાભાઈ સોંદરવા નામના પ્રૌઢે અગમ્ય કારણોસર રાત્રિના સમયે પોતાના ઘરે જ એસિડ પી લીધું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત નીવડે તે પૂર્વે જ કાળુભાઈનું કરુણ મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

મૃતક કાળુભાઈને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા શોકનું મોજું ફરી વળ્યું છે. વધુમાં જાણવા મળ્યું છે કે, મૃતકને અગાઉ બે વખત હાર્ટ એટેક આવી ચૂક્યા હતા અને હાલ તેની દવાઓ પણ ચાલુ હતી.

બીજી એક ઘટનામાં, ગોંડલ રોડ પર ડી-માર્ટની બાજુમાં આવેલા રાધે હાઇટ્સમાં રહેતા શારદાબેન વિનોદભાઈ ભીમાણી નામના 65 વર્ષના વૃદ્ધાનું નિધન થયું છે. શારદાબેન લાંબા સમયથી લીવરની ગંભીર બીમારીથી પીડાતા હતા. ગત રોજ તેઓ જ્યારે પોતાના ઘરે હતા, ત્યારે અચાનક બીમારીના કારણે બેભાન થઈ ગયા હતા.પરિવારજનો દ્વારા તેમને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવે તે પહેલા જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

Exit mobile version