Site icon Gujarat Mirror

સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઈન્જેકશન જેવો હોય છે, થોડો સમય માટે દુ:ખે પણ ફાયદો આજીવન રહે: ભાજપમાં નો એન્ટ્રી વચ્ચે ‘રામે’ તીર છોડયું

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સોશિયલ મીડિયામાં આપ્યો સુચક સંદેશ

રાજકોટ શહેર ભાજપ અને મહાનગરપાલિકાના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને નો એન્ટ્રીના મૌખીક આદેશ બાદ હવે સાંસદ મોકરીયાએ પણ સોશિયલ મીડિયામાં તીર છોડયું છે અને પોતાના વિશે લખાયેલા પુસ્તકનું એક પેઈજ વાઈરલ કરી લાગતા વળગતાઓને સુચક સંદેશો આપ્યો છે.
દરમ્યાન અન્ય એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે ‘જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઈન્જેકશન જેવો હોય છે, જે થોડો સમય માટે દુ:ખે છે પણ ફાયદો આજીવન રહે છે એક પછી એક પોસ્ટ મુકીને રામભાઈ એ કુકરી ગાંડી કરતાં રાજકીય ગરમાઓ વધવા લાગ્યો છે.

દિલ્હીથી બેઠા બેઠા સોશિયલ મીડિયામાં રામભાઈ મોકરીયા અલગ અલગ પોસ્ટર શેર કરી રહ્યા છે. રામભાઈ મોકરીયાના પોસ્ટરો વગર બોલે ઘણું બધું કહી જાય છે. ગઈકાલે પણ રામભાઈએ કથાકાર રમેશભાઈ ઓઝાનો વિડીયો વાયરલ કર્યો હતો. સાથે જ પોતાના વિશે પુસ્તકમાં લખેલું લખાણ પણ વાયરલ કર્યું હતું.

સંસદનું સત્ર ચાલી રહ્યું હોવાથી રામ મોકરિયા દિલ્હીમાં છે. રાજકોટના વિવાદ પર તેઓ પૂર્ણ વિરામ મૂકે છે કે સવાલો ઉભા કરે છે તે જોવું મહત્વનું રહેશે. હાલ તો તે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના વિરોધીઓને જવાબ આપતા હોય તેમ લાગી રહ્યું છે. રામ મોકરિયાએ એક સુવિચાર પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ થોડો સમય ઇન્જેક્શન જેવી હોય,જે થોડા સમય માટે દુખે છે પણ ફાયદો આજીવન રહે છે. આ સિવાય ગઈકાલે પણ રામ મોકરિયાએ રમેશભાઈ ઓઝાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. સાથે જ પોતાના વિશે પુસ્તકમાં લખેલું લખાણ પણ વાયરલ કર્યું હતું.

ઘટનાક્રમની વાત કરીએ તો આંગણવાડીના લોકાર્પણના નિમંત્રણ કાર્ડમાંથી મોકરીયાનુ નામ ગાયબ થઈ ગયું હતું, જયારે અન્ય સાંસદનું નામ છપાયેલું હતું. શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ કહ્યું હતું કે, મેં રામભાઈ મોકરીયા મામલે કોઈ સૂચના આપી નથી. મને પણ પ્રદેશ તરફથી સૂચના આવી નથી. આ મુદ્દો કયાંથી ઉઠયો તે મારા ધ્યાનમાં નથી. રામભાઈ વડીલ છે અને તે કઈ કહે તો અમે તે સાંભળી લેતા હોઈએ છીએ. બીજી બાજુ સૂત્રો જણાવી રહ્યા છે કે રામભાઈ ભાજપના જૂથવાદને કારણે વિવાદમાં આવ્યા હોવાનું જણાય છે. તેમણે અગાઉના હોદ્દેદારો અને અત્યારના હોદ્દેદારો તેમજ મનપાના કેટલાક પદાધિકારીેની પ્રવૃતિઓ અંગે ટિપ્પણીઓ કરી હતી અને ત્યારથી આ જૂથ તેમની સામે પડેલું છે.

Exit mobile version