રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ઉપર બાલાજી સર્કલ પાસે રહેતા એક સુખી સંપન્ન પરિવારના નવપરિણીત કારખાનેદાર યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. નવપરિણીત કારખાનેદાર યુવાને બેંકે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ માર્કેટ યાર્ડ પાસે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આપઘાતના કારણ અંગે પણ ભારે સસ્પેન્શ સર્જાયો છે. પરિવારજનોએ મૌન સેવી લીધું છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલની પાછળ રહેતાં વિરાજ જેન્તીભાઈ જસાણી (ઉ.25) નામના યુવાને ગઈકાલે બપોરે માર્કેેટ યાર્ડ પાસે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે બી-ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક વિરાજ બે ભાઈ એક બહેનમાં નાનો અને તેના લગ્ન છ મહિના પહેલા જ થયા હતાં તે તેના પિતા સાથે કારખાનું ચલાવતો હતો. ગઈકાલે બેંક જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ માર્કેટ યાર્ડ પાસે આ પગલું ભરી લીધું હતું. તેણે આપઘાત શા માટે કરી લીધો તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના મોતથી પટેલ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
ગૃહકલેશથી કંટાળી યુવાને એસિડ પીધું
કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે એકલવ્ય આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં રાહુલ જેરામભાઈ ધમ્મર (ઉ.40) નામનાં યુવાને ગૃહકલેશથી કંટાળી પોતાના ઘરે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

