શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતી પરણીતા ખાનગી હોસ્પિટલમાં નોકરી ઉપર જઈ રહી હતી. ત્યારે ત્રણ શખ્સોએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી. જેથી મહિલાએ ગાળો દેવાની ના પાડતા અન્ય શખ્સોએ માર મારી મોબાઈલ પડાવી લીધો હતો. જે દરમિયાન ત્યાં પસાર થઈ રહેલી સીટી બસના ચાલકે બસ ઉભી રાખતા લોકોના ટોળાએકઠા થઈ ગયા હતાં. અને મહિલા સાથે ઝપાઝપી કરનાર ત્રણેય નશેડીને માર મારી મોબાઈલ પરત અપાવ્યો હતો. મહિલાને ઈજા પહોંચતા સારવારમાટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર વિસ્તારમાં રહેતી ભારતીબેન જયસુખભાઈ રાઠોડ નામની 35 વર્ષની પરણીતા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. પરણીતાને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં ભારતીબેન રાઠોડ ખાનગી હોસ્પિટલમાં પીયુન તરીકે નોકરી કરે છે અને નોકરી પર જતી હતી ત્યારે ત્રણેય શખ્સોએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી. જેથી ભારતીબેનેગાળો દેવાની ના પાડતા ત્રણેય શખ્સોએ ભારતીબેનને માર મારી મોબાઈલ પડાવી લીધો હતો. તે સમયે ત્યાંતીપસાર થઈ રહેલી સીટીબસના ચાલકે બસ ઉભી રાખી દીધી હતી. અને એકઠા થયેલા ટોળા અને સીટીબસના ચાલક સહિતનાએ ત્રણેય શખ્સોને માર મારી મહિલાને બચાવી લીધી હતી. અને મોબાઈલ પરત અપાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસ સ્ટેશને નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

