શહેરના નાનામવા વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા આધેડે બિમારીથી કંટાળી કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ નાનામવમાં આવેલી લક્ષ્મણ ટાઉનશીપ બ્લોક નંબર 407માં રહેતા ચમનભાઇ મંગાભાઇ સોલંકી (ઉ.વ.55)નામના આધેડે ગઇકાલે સાંજે પોતાના ઘરે જાતે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાપી અગન પછેડી ઓઢી લીધી હતી. બનાવની જાણ થતા 108નો સ્ટાફ દોડી ગયો હતો અને ઇએમટી મહેન્દ્ર ગોસ્વામીએ જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ કિશન અજાગીયા સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક ચમનભાઇ ચાર ભાઇ એક બહેનમાં મોટા અને કારખાનામાં કામ કરતા હતા.
તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તેમને ગેંગરીંનની બિમારી હોય જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ પરિવારજનોએ જણાવ્યુ હતું. આ બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

