પાટણના સિધ્ધપુરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રાત્રિના સમયે મકાનમાં પરિવાર સૂતો હતો આ દરમિયાન અગમ્ય કારણોસર આગી લાગી હતી.
મળતી વિગતો અનુસાર આ આગની ઘટનામાં એક 4 વર્ષીય બાળક અને એક 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અચાનક આગ લાગી હતી. આ ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ સિધ્ધપુર પાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગને કાબુમાં લીધી હતી. ત્યારે ઘટનામાં થયેલા મૃત્યુને લઇ સિધ્ધપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

