Site icon Gujarat Mirror

પડધરીના ખાખડાબેલામાં પરિણીતાએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત

oplus_2097184

પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે રહેતી પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે રહેતી અરુણાબા વિરેન્દ્રસિંહ જાડેજા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પરિણીતાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક અરુણાબા જાડેજાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અરુણાબા જાડેજાએ માનસિક બીમારીથી કંટાળી પરિવાર વાડીએ ગયા બાદ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપર વેરાવળમાં મજૂરી અર્થે આવેલા પ્રમોદકુમાર કામદારપ્રસાદ વર્મા નામના 22 વર્ષના યુવાને બે દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને બે ભાઈમાં નાનો હતો. પોલીસે ઉપરોક્ત બંને બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version