શહેરમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા ઓમનગર પાર્કમાં રહેતા પ્રોઢાએ 16 માસ પૂર્વે ન્યુમોનિયાની બીમારીથી મોતને ભેટેલા પુત્રના વિયોગમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પ્રોઢાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા ઓમનગર પાર્કમાં રહેતા નયનાબેન કિશોરભાઈ હરણેસા નામના 58 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે સવારના દસેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પ્રોઢાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રોઢાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પ્રોઢાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક નયનાબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે નયનાબેન હરણેસાના 35 વર્ષના પુત્ર સુમિતનું 16માસ પહેલા ન્યુમોનિયાની બીમારી સબબ મોત નીપજ્યું હતું જે પુત્રના મોતના વીરહમાં માતાએ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

