Site icon Gujarat Mirror

ખંભાળિયામાં આવતીકાલે ખામનાથ મહાદેવની ભવ્ય વરણાંગી નીકળશે

ખંભાળિયા એ અગાઉ હાલારની ખૂબ જ પૌરાણિક રાજધાની રહી છે. જેમાં નિર્માણ થયેલું આશરે પાંચ સદી જૂનું ખામનાથ મહાદેવનું મંદિર પણ અહીંના ઇતિહાસ સાથે સંકળાયેલ છે. ત્યારે ખામનાથ મહાદેવની પૂજન અર્ચન માટે બનાવેલા નીતિ નિયમો આજે પણ બરકરાર હોવાથી મંદિરની પવિત્રતા અલૌકિક ભાવ સર્જે છે. ત્યારે મંદિર દ્વારા અંદાજે 150 વર્ષ પૂર્વે શિવરાત્રીના પ્રસંગે શિવ શોભાયાત્રા (વરણાંગી)નું જે આયોજન કરવામાં આવ્યું છે. જે આજે પણ બેજોડ છે.

જેમ કે આ શિવ શોભાયાત્રાની વરણાંગીમાં સ્થાપીત કરવામાં આવેલા ભગવાન શિવ, પાર્વતી અને ગણેશજીની અઢી ફૂટ જેટલી ઊંચાઇ અને ત્રણ ફૂટ જેટલી પહોળાઈના પરિસરમાં રાખવામાં આવેલી આ ત્રણેય પ્રતિમાઓ સો ટકા નકોર ચાંદીની બનાવેલી છે. જે વજનથી ભરપૂર હોય, જેની કૃતિ આપોઆપ આકર્ષણ જન્માવે છે. આવી વરણાંગીની પવિત્રતા જળવાઈ રહે એ હેતુથી એ સમયના સંકલનકર્તાઓ દ્વારા વરણાંગીને માત્ર બ્રાહ્મણો જ ઊંચકી શકે અને એ જ બ્રાહ્મણો ઊંચકી શકે જેઓએ પગમાં ચંપલ પહેર્યા ન હોય. સાથે શરીર ઉપર પીતાંબર ધારણ કર્યું હોય અને લલાટમાં તિલક કર્યું હોય. અન્યથા કોઈએ જ નહીં પાલખીની આગળ સૂત્રોચ્ચાર નહીં પણ પરંતુ મંત્રોચ્ચાર કરવામાં આવતા હોવાથી પ્રતિમાઓનું આકર્ષણ મંત્રોચ્ચારનું પંચ મહાભૂતમાં વીલીનીકરણથી સર્જાતી ધ્વનિ અને શ્રદ્ધાળુઓની શ્રદ્ધાથી સર્જાતો અલૌકિક માહોલ ભગવાનની પાલખી માટે ઇન્તજારી ફેલાવે છે.

આ પરંપરાગત શોભાયાત્રા રવિવાર તા. 15 ના રોજ શિવરાત્રીએ સવારે 9:15 વાગ્યે અહીંની રંગ મહોલ શાળા આગળથી પ્રસ્થાન કરી, શહેરના રાજમાર્ગો પર ફરીને પુન: ખામનાથ મંદિરે સંપન્ન થશે. જે યાત્રામાં જ્ઞાતિ-જાતિના ભેદભાવો છોડી તમામ શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહેવા મંદિરના સંકલનકર્તાઓ સંજયભાઈ જોશી, અમિતભાઈ વ્યાસ, પ્રતિકભાઈ જોશી, લાખાભાઈ ચાવડા, જે.વી. ધ્રુવ, નિલેષભાઈ રાયઠઠ્ઠા તથા આગેવાનો દ્વારા શિવભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Exit mobile version