Site icon Gujarat Mirror

નકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિનયનો કેસ લડવા બોગસ વકીલ ઘૂસી ગયો!

ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે જુદા જુદા કેસ ચાલવા પર આવ્યા છે ત્યારે વર્ષ 2011માં નકલી વકીલ તરીકે સેમ્યુઅલ ક્રિશ્ચિયન હાજર થતા તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ પણ મેટ્રોકોર્ટમાં ચાલવા પર આવ્યો છે ત્યારે સેમ્યુઅલ ક્રિશ્ચિયનના કેસમાં પણ બોગસ રીતે એક વકીલ હાજર થયો હતો અને તેણે કેસ ચલાવ્યો હોવાનું બહાર આવ્યું છે.

આ મુદ્દો કોર્ટના ધ્યાને આવતા બોગસ રીતે ઘૂસેલા વકીલે માફી માગી હતી. જોકે, કોર્ટે આ મામલે રોજકામમાં નોંધ કરી છે. તેથી વકીલ સામે બાર કાઉન્સિલમાં ફરિયાદ કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, આજ વકીલ અગાઉ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની મેટરમાં પણ ખોટી રીતે ઘૂસી જતા મોટો વિવાદ સર્જાયો હતો. નકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ચન સામે વર્ષ 2011માં એડવોકેટ રઇશ શેખે ફરિયાદ કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, મોરીસ સેમ્યુઅલ કોર્ટમાં ફરિયાદી વતી કેસો લડવા માટે હાજર રહેતો હતો. આ વ્યક્તિ ’એડી. ચીફ જ્યુડી. મેજિ.’ની કોર્ટ સમક્ષ વકીલ છે તેવી રજૂઆત કરતો હતો. જોકે, વકીલ તરીકે રજૂ થયેલા આ વ્યક્તિની તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે તે ગુજરાત બાર કાઉન્સિલ કે ’બાર’ નો સભ્ય નથી.

વધુમાં પૂછપરછ દરમિયાન તેણે ’આઈ.ડી. કોડ’ કે ’સનદ નંબર’ પણ રજૂ કર્યો ન હતો. જેથી તે સમયે કોર્ટ દ્વારા મોરીસને ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમ છતાં, તે વ્યક્તિ વકીલ તરીકે કોર્ટમાં હાજર થવાનું ચાલુ રાખતો હતો. તેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ મામલે સેમ્યુઅલ સામે કેસ ચાલવા પર આવ્યો ત્યારે 13 નવે. 2025ના રોજ તેના વકીલ તરીકે એ.એસ.ગૌતમે રીટાયરમેન્ટ જાહેર કર્યું હતું. 29 નવે.ના રોજ આરોપીને જેલમાંથી હાજર રાખવામાં આવ્યો ન હતો. ફરિયાદી હાજર રહ્યા ત્યારે આરોપી તરફે એક વકીલે પ્રોક્ષી રજૂ કરી અને હાજર થયા હતા. ત્યારબાદ તે નવા વકીલે ફરિયાદીની જુબાની લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમયે બચાવ પક્ષે એડવોકેટ રઇસ શેખે અગાઉ રિટાયર્ડ થયેલા વકીલ અમરસિંહ ગૌતમ છુટા થયા છે, પરંતુ નવા આવેલા વકીલ અંગે જાણ ન હોવાનું કહ્યું હતું. જેથી નવા આવેલા વકીલ બોગસ રીતે કેસમાં ઘૂસી ગયા હોવાનું સાબિત થયું હતું.

Exit mobile version