ભણતરના ભારને કારણે એક છાત્રાએ પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવમાં હાલ છાત્રાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે સગીરાના પરિવારજનોની પૂછપરછ કરી હતી. બનાવની વધુ વિગતો મુજબ શહેરના કોઠારીયા રોડ કેદારનાથ ગેઇટ નજીક રહેતી 16 વર્ષની બાળાએ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરી હતી. પગલુ ભરનારી બાળા ધોરણ-9માં અભ્યાસ કરે છે. તે છ ભાઇ-બહેનમાં ત્રીજી છે. અભ્યાસનું ટેન્શન હોઇ તેના કારણે ફિનાઇલ પી લીધાનું કહેતાં પોલીસે વાલીની હાજરીમાં નિવેદન નોંધવાની તજવીજ કરી હતી.
