Site icon Gujarat Mirror

શિતલ પાર્ક પાસે રિક્ષા પલટી ખાઈ જતાં 6 લોકોને ઈજા

શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો એક પરિવાર રિક્ષામાં બેસીને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે શીતલ પાર્ક પાસે રિક્ષા પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મહિલા સહિત કુલ 6 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

જાણવા મળતી વિગત મુજબ, પોપટપરા વિસ્તારમાં રહેતા અનુબેન અમરાભાઇ સોઢીયા (ઉં.વ. 40) સવારના આશરે 11:00 વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસીને દર્શન કરવા જઈ રહ્યા હતા. આ પરિવાર શીતલ પાર્ક નજીક આવેલા ’ઉગતા પોરના મેલડી માતાજી’ના મંદિરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક ચાલકે રિક્ષા પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.

રિક્ષા પલટી જતાં તેમાં સવાર અનુબેન સોઢીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. તેમની સાથે રિક્ષામાં રહેલા અન્ય પાંચ સભ્યોને પણ નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.બનાવની જાણ થતા જ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂૂરી નોંધ કરી હતી. આ અકસ્માત અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version