Site icon Gujarat Mirror

શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરિંગ શ્રેણીમાં રાજકોટની 3 કચેરીને સ્થાન

નાયબ પશુપાલન નિયામક, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને PGVCL અધિક્ષક ઇજનેર કચેરીનું સન્માન

ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે, આજે રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં આજે શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરીંગ કચેરી તરીકે પસંદ પામેલી ત્રણ સરકારી કચેરીનું જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે, સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલ ખાતે સુશાસન દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે 11:00 કલાકથી શરૂૂ થઈ હતી. આ કાર્યક્રમમાં રાજકોટથી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રાજકોટ જિલ્લામાં વહીવટી કામગીરી તેમજ યોજનાઓના અમલમાં સર્જનાત્મક અભિગમ સાથે કામ કરવા જિલ્લાના અધિકારીઓને જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન – 2024 અંતર્ગત કચેરીમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી તેમજ કચેરીઓમાં રેકર્ડ સાફ-સફાઈ, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ નિભાવ, ડેડ સ્ટોકનો નિકાલ વગેરે બાબતો અંગે શ્રેષ્ઠ ઈમર્જિંગ – એસ્પાયરિંગ કચેરી તરીકે ત્રણ કચેરી પસંદ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમે નાયબ પશુપાલન નિયામક – ઘનિષ્ઠ સુધારણાની કચેરી, બીજા ક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તથા ત્રીજા ક્રમે અધિક્ષક ઈજનેર-પી.જી.વી.સી.એલ.ની કચેરી પસંદગી પામી છે. આજે સુશાસન દિવસે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના હસ્તે અનુક્રમે નાયબ નિયામક-પશુપાલન ડો. એ.એમ. ડઢાણિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, તથા પી.જી.વી.સી.એલ.ના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર જે.બી ઉપાધ્યાયને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, ડી.સી.પી. ઝોન -2 જગદીશ બાંગરવા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનર સી.કે. નંદાણી, નિવાસી અધિક કલેકટર આલોક ગૌતમ તેમજ અન્ય અધિકારીઓ વર્ચ્યુઅલી સહભાગી થયા હતા.

Exit mobile version