Site icon Gujarat Mirror

ધ્રાંગધ્રામાં વેપારીના ગોડાઉનમાંથી પાન મસાલાના 204 પેકેટની ચોરી, બેની શોધખોળ

ગોડાઉનમાં કાર કરતા શખ્સને ચાવી આપી ચીજવસ્તુઓ મંગાવી હતી, તેના પર આશંકા

ધ્રાંગધ્રા શહેરમાં એક હોલસેલ વેપારીના ગોડાઉનમાંથી 204 પાન મસાલાના પેકેટની ચોરી થઈ છે. આ મામલે સિટી પોલીસ મથકે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સોની તલાવડી વિસ્તારમાં પાન મસાલાની હોલસેલ દુકાન ધરાવતા હરિકૃષ્ણભાઈ પ્રાણજીભાઈ કોટકનું ગોડાઉન જૂની લાઇબ્રેરી શેરીમાં આવેલું છે. તેમણે પોતાની દુકાનનું છૂટક કામ કરતા શાહરૂૂખ કરીમભાઈ ભટ્ટીને ગોડાઉનની ચાવી આપી કેટલીક ચીજવસ્તુઓ મંગાવી હતી.

શાહરૂૂખ ભટ્ટી પરત ફર્યા બાદ વેપારી હરિકૃષ્ણભાઈને કંઈક અજુગતું બન્યાની શંકા ગઈ હતી. તેમણે ગોડાઉનમાં જઈને તપાસ કરતા અંદરથી કુલ 306 પાન મસાલાના પેકેટ ગાયબ જણાયા હતા. આ અંગે શાહરૂૂખ ભટ્ટીની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેના મિત્ર ઘનશ્યામભાઈ દિલીપભાઈ ઠાકોર પોતાની રીક્ષામાં આ પાન મસાલાના પેકેટ લઈ ગયા હતા.

વેપારીએ ઘનશ્યામ ઠાકોર પાસેથી તમામ પેકેટ પરત મંગાવ્યા, પરંતુ 306 પેકેટમાંથી માત્ર 102 પેકેટ જ પરત મળ્યા હતા.

બાકીના 204 પેકેટ પરત ન મળતા, વેપારી હરિકૃષ્ણભાઈ કોટકે શાહરૂૂખ કરીમભાઈ ભટ્ટી (રહે: ખટકી વાસ, ધ્રાંગધ્રા) અને ઘનશ્યામ દિલીપભાઈ ઠાકોર (રહે: ડાભી સોસાયટી, ધ્રાંગધ્રા) વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાવ્યો છે. સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version