Site icon Gujarat Mirror

રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની જેલ

ઘરમાં ઘુસી સગીરાને હવસનો શિકાર બનાવી અપહરણ કર્યાની ફરિયાદના આધારે ધરપકડ થઈ’તી

રાજકોટમાં રહેતાં પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરી અપહરણ કર્યાના પોકસો એકટના ગુનામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 20 વર્ષની સજા અને ભોગ બનનાર સગીરાને આઠ લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતાં સોયબ ઈબ્રાહીમભાઈ માંડલીયા નામના શખ્સે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી નિકાહ કરવાની લાલચ આપી હતી અને સોયબ માંડલીયા મધરાત્રે સગીરાના ઘરમાં ઘુસ્યો હતો અને સગીરા સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં સોયબ માંડલીયા સગીરાને ભગાડી ગયો હતો. જે અંગે બી-ડીવીઝન પોલીસમાંથી પોકસો એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ કેસ સ્પે.પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતાં સાત સાહેદો, 16 દસ્તાવેજી પુરાવાઓ, ભોગ બનનાર સગીરાની જુબાની અને મેડીકલ પેપર્સ તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે.પોકસો કોર્ટે સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપી સોયબ માંડલીયાને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને ભોગ બનનાર સગીરાને રૂા.8 લાખનુંં વળતર ચુકવવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી પ્રશાંત પટેલ અને સહાયક તરીકે રાજન ટીંબા અને મુશ્કાન સમા રોકાયા હતાં.

Exit mobile version