Site icon Gujarat Mirror

પર્ફોર્મન્સ અને ડોપિંગના કારણે ખેલો ઈન્ડિયામાંથી 1342 એથ્લિટ પડતા મૂકાયા

આ પ્રોગ્રામમાં 2,905 નવા એથ્લિટનો ઉમેરો પણ થયો

ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયાએ ગઇકાલે રાજ્ય સભામાં જાહેરાત કરી હતી કે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન વિવિધ રમતોમાંથી કુલ 1,342 ઍથ્લીટને ‘ ખેલો ઇન્ડિયા’ પ્રોગ્રામમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. આ પગલાં પાછળ કારણ એ હતા કે એમાંના અમુક ઍથ્લીટના પર્ફોર્મન્સ જોઈએ એવા નહોતા અને અન્ય કેટલાકે ડ્રગ્સને લગતાં (ડોપિંગના) નિયમનો ભંગ કર્યો હતો.

‘ ખેલો ઇન્ડિયા’ પ્રોગ્રામમાં સામેલ ઍથ્લીટોના પર્ફોર્મન્સ વિશે રાજ્ય સભામાં વિગતો માગવામાં આવી ત્યારે માંડવિયાએ જવાબમાં 1,342 ઍથ્લીટને પડતા મૂકવામાં આવ્યા હોવાની જાણકારી આપવા ઉપરાંત એવું પણ કહ્યું હતું કે આ પ્રોગ્રામમાં કુલ 2,905 નવા ઍથ્લીટના નામ પણ ઉમેરવામાં આવ્યા છે.

‘ ખેલો ઇન્ડિયા’ માટેના ઍથ્લીટોના પર્ફોર્મન્સ નિર્ધારિત માપદંડ મુજબ છે કે નહીં એનું પરીક્ષણ દર વર્ષે પ્રોટોકોલ મુજબ નક્કી કરેલા કેમ્પમાં કરવામાં આવે છે અને સમયાંતરે ખેલો ઇન્ડિયાની વેબસાઇટ પર એના અહેવાલ મૂકવામાં આવે છે.

કેન્દ્ર સરકારના આ કાર્યક્રમમાં રાષ્ટ્રભરમાં કુલ મળીને 23,000થી પણ વધુ ઍથ્લીટને તાલીમ આપવામાં આવી રહી છે અને એમાં કયા ખેલાડીઓના પર્ફોર્મન્સમાં સુધારો થયો છે, કોના દેખાવમાં ખાસ કંઈ ફેરફાર નથી થયો અને કયા ઍથ્લીટોએ નક્કી કરેલા માપદંડ મુજબ સુધારો નથી બતાવ્યો એ ટેલન્ટ આઇડેન્ટિફિકેશન ઍન્ડ ડેવલપમેન્ટ કમિટી (ટીઆઇડીસી)ના સ્ટાફ દ્વારા નક્કી કરવામાં આવે છે.

Exit mobile version