પોતાની વિશિષ્ટ શૈલીમાં વિડિયો બનાવીને લાખો ફોલોઅર્સ મેળવનાર યુટ્યુબર ધ્રુવ રાઠી ફરી એકવાર આકરી ટીકાનો ભોગ બન્યા છે. ધ્રુવ રાઠીએ પોતાના એક વિડિયોમાં હિન્દુ ધર્મના દેવતાઓ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના આહાર અને જીવનશૈલી વિશે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમના આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ’બોયકોટ ધ્રુવ રાઠી’ જેવા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા છે.
ધ્રુવ રાઠીએ તેમના વિડિયોમાં દાવો કર્યો છે કે પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોમાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ દ્વારા માંસ અને મદિરા (દારૂૂ) ના સેવનના સંદર્ભો જોવા મળે છે. તેમણે વાલ્મીકિ રામાયણ અને વેદોનો ઉલ્લેખ કરીને એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું વનવાસ દરમિયાન ભગવાન રામે ખરેખર હરણના માંસનું સેવન કર્યું હતું? આ ઉપરાંત, તેમણે સ્વામી વિવેકાનંદના પુસ્તક ’ધ ઈસ્ટ એન્ડ ધ વેસ્ટ’ (પૂર્વ અને પશ્ચિમ) ને ટાંકીને પોતાની દલીલને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ધ્રુવ રાઠીએ પોતાના વિડિયોમાં મહાભારતના ’ઉદ્યોગ પર્વ’ ના 58મા અધ્યાયનો હવાલો આપીને દાવો કર્યો છે કે ભગવાન કૃષ્ણ અને અર્જુન મદિરાપાન કરતા હોવાના પુરાવા છે. તેટલું જ નહીં, તેમણે રામાયણના પ્રસંગો ટાંકીને જણાવ્યું કે સીતા માતાએ ગંગા નદીને માંસ અર્પણ કર્યું હતું. મહાભારતના ’વન પર્વ’ મુજબ પાંડવો જંગલમાં લાંબા સમય સુધી હરણના માંસ પર નિર્ભર રહ્યા હતા.
તેમણે તર્ક આપતા પૂછ્યું કે, “શું વનવાસના 12 વર્ષ દરમિયાન પનીર માખણ મસાલા જેવી વાનગીઓ ખાઈને જીવવું શક્ય હતું? શું તેઓ માત્ર ફળોના આહાર પર આટલા વર્ષો વિતાવી શક્યા હોત? આ વિડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો અને સામાન્ય નાગરિકોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે ધ્રુવ રાઠી અર્ધસત્ય અને શાસ્ત્રોના શ્ર્લોકોનું ખોટું અર્થઘટન કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે. ઘણા યુઝર્સનું માનવું છે કે ધાર્મિક વિષયો પર ટિપ્પણી કરતા પહેલા ઊંડું જ્ઞાન હોવું જરૂૂરી છે અને આ પ્રકારના નિવેદનો માત્ર ’વ્યુઝ’ મેળવવા માટે કરવામાં આવે છે.

