શાપર વેરાવળમાં આવેલ શાંતિધામમાં રહેતો યુવાન ગોંડલના ઘોઘાવદર ગામે હતો ત્યારે ત્રણ શખ્સોએ છરી, ધોકા અને કુહાડી વડે હુમલો કરી માર માર્યો હતો યુવકને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલ શાંતિધામમાં રહેતો રાજ ખીમાભાઈ પરમાર નામનો 25 વર્ષનો યુવાન ઘોઘાવદર ગામે વાડી વિસ્તારમાં હતો ત્યારે દસેક વાગ્યાના અરસામાં અપુ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા, કુહાડી અને છરી વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત બીજા બનાવમાં વેરાવળમાં રહેતો અલ્ફાજ આમદભાઈ બાગજી નામનો 32 વર્ષનો યુવાન બપોરના આરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે ત્રણ શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

