Site icon Gujarat Mirror

અંજારમાં રેલવે ટ્રેક ઓળંગતા ટ્રેનની ઠોકરે પતિની નજર સામે પત્ની, બે પુત્રનાં મોત

 

દંપતી બનાસકાંઠાના દિયોદર તાલુકાથી પરત ફર્યું હતું: પતિનો બચાવ, શ્રમિક પરિવારમાં ત્રણનાં મોતથી શોક છવાયો

અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન ખાતે રાત્રે શ્રમજીવી પરિવાર પસાર થઈ રહ્યો હતો. ત્યારે પરિવારના સભ્યો અચાનક કચ્છ એક્સપ્રેસ ટ્રેનની હડફેટે ચડી જતા અકસ્માતનો ભોગ બન્યો હતો. જેથી પતિની નજર સામે પત્ની અને બે પુત્રોના મોત થયાં હતાં. ઘટનાને પગલે રેલવે સ્ટાફ સહિતનાઓ મદદે દોડી ગયા હતા.

આ ઘટનાની વિગત જોઈએ તો ગાંધીધામથી નીકળેલી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન ભચાઉ તરફ આગળ વધી રહી હતી. તે જ સમયે રેલવે ટ્રેકને ઓળંગી રહેલા પરિવારના સભ્યો ધસમસતી ટ્રેનની હડફેટે ચડી જતા ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં પતિની નજર સામે જ પત્ની અને બે પુત્રોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. બનાવના પગલે રેલવે સ્ટાફ સહિતના લોકો પરિવારની મદદે દોડી ગયા હતા અને ગાંધીધામ પોલીસને જાણ કરી હતી.

બનાવ અંગે ગાંધીધામ રેલવે પોલીસનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, અંજાર પાસેની વેલસ્પન કંપનીમાં શ્રમકાર્ય કરતું દંપતી ગત રાત્રે બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણા ગામેથી પાલનપુરવાળી ટ્રેનથી પરત ફર્યું હતું અને ભીમાસર રેલવે સ્ટેશન પર ઊતર્યું હતું. પ્લેટફોર્મ ઊતરી શ્રમજીવી પરિવાર સામે તરફ જવા ટ્રેક ઓળંગતો હતો, ત્યારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ઘટના બની હતી.

અહિંથી પસાર થઈ રહેલી કચ્છ ઈએમએસ ટ્રેનની ઠોકરે પરિવાર ચડી જતા 30 વર્ષીય જનતાબેન જગતાભાઈ વાલ્મિકી, 9 વર્ષનો પુત્ર મહેશ અને માતા પાસે રહેલા બે માસના પુત્ર પ્રિન્સનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ થયું હતું, જ્યારે આગળ ચાલતા પતિનો ચમત્કારિક બચાવ થયો હતો. મૃતદેહોને પીએમ વિધિ બાદ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હોવાનું તપાસ કરતા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વડાભાઈ રબારીએ જણાવ્યું હતું.

 

—-

 

Exit mobile version