વાંકાનેરના મહિકા ગામે દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થયો હતો. પતિ સાથે રકઝક થતાં પત્નીએ માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના મહિકા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી સીતાબેન રાજેશભાઈ રજનીક નામની 45 વર્ષની પરિણીતાને નજીવા પ્રશ્ર્ને પતિ સાથે ઝઘડો થયો હતો. જેથી માઠુ લાગી આવતાં સીતાબેન રજનીકે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે અને મુળ ગોધરાના વતની છે.
આ ઉપરાંત બીજા બનાવમાં હળવદના ચરાડવા ગામે ખેતમજુરી કરતી લીલાબેન નામની 20 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
