ખાદ્ય ચીજોના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર સોના પર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. જો સરકાર દ્વારા આ નિર્ણય અમલી બનાવવામાં આવશે, તો દેશના સ્થાનિક સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાશે. ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાથી સ્થાનિક બજારમાં સોનાની આયાત અને ઉપલબ્ધતા વધશે. જેનાથી આગામી તહેવારો અને લગ્નસરાની સીઝનમાં જ્વેલરીની માંગમાં મોટો ઉછાળો આવશે.
અગાઉ મે 2026માં વિદેશી મુદ્રા ભંડાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને સરકારે સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને 15% કરી દીધી હતી. તે સમયે સોના અને ચાંદીના વધતા આયાત બિલને અટકાવવા અને ગગડતા રૂૂપિયાના મૂલ્યને સાચવવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં આર્થિક સ્થિતિ સામાન્ય થતાં સરકાર ફરીથી ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરીને દર ઘટાડવા વિચારી રહી છે.
ભારત પોતાની વાર્ષિક જરૂૂરિયાત પૂરી કરવા માટે દર વર્ષે અન્ય દેશોમાંથી આશરે 700 થી 800 ટન સોનાની આયાત કરે છે. જો ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટીને 6% થશે, તો દિલ્હી સર્રાફા બજારમાં હાલમાં પ્રતિ 10 ગ્રામ 1,63,890 રૂૂપિયાની આસપાસ રહેલા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 14,000 રૂૂપિયાથી વધુનો સીધો કડાકો આવી શકે છે. તેવી જ રીતે 22 કેરેટ સોનાના ભાવમાં પણ 13,000 રૂૂપિયાથી વધુનો ઘટાડો થવાની ગણતરી વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ નિર્ણયથી સોનાની ગેરકાયદે તસ્કરી પર પણ મોટો લગામ લાગશે.
ગોલ્ડ-સિલ્વર ઇટીએફ રોકાણકારો અવસરની વાટ જુએ
સોના અને ચાંદીના સ્થાનિક ભાવ ઘટવાની સાથે ગોલ્ડ અને સિલ્વર ઇટીએફના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે. બજારના નિષ્ણાતો અને આર્થિક વિજ્ઞાનીઓની સલાહ મુજબ, જો ઇટીએફના ભાવમાં ઘટાડો થાય તો રોકાણકારો માટે તે નવી ખરીદી કરવાનો એક શ્રેષ્ઠ સમય અને તક સાબિત થઈ શકે છે. આથી રોકાણકારોએ ઘટેલા ભાવનો લાભ લઈને તબક્કાવાર ખરીદી કરવાની વ્યૂહરચના અપનાવવી જોઈએ.

