Site icon Gujarat Mirror

તમે કરો છો શું? સિનિયર નેતાઓ ઉપર રાહુલ ગાંધી આગબબૂલા

ગ્રાસ રૂટથી સિનિયર નેતાઓ સાથે મિટિંગોનો સતત દોર, જૂના નેતાઓ સામે કાર્યકરોની ભારે નારાજગી

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે એક બાદ એક બેઠકોનો દૌર શરૂૂ કર્યો છે. એકતરફ ગુજરાતમાં કોંગ્રેસ એક બાદ એક કંગાળ પ્રદર્શન કરી રહી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પૂરી થયા પછી કોંગ્રેસ ગુજરાતમાં ખાસ કશું ઉકાળી શકી નથી. તેમા રહી સહી કસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓએ પૂરી કરી દીધી.

આ ચૂંટણીમાં પણ કોંગ્રેસનું અત્યંત ખરાબ પ્રદર્શન રહ્યુ. આ તરફ રાહુલ ગાંધી 8 મહિના પહેલા દેશની સંસદમા એવો દાવો કરી ચુક્યા છે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને તેના જ ગઢમાં હરાવશે. જો કે વિધાનસભાની ચૂંટણીને આડે હજુ અઢી વર્ષનો સમય છે પરંતુ હાલની પરિસ્થિતિને જોતા કોંગ્રેસ તેમની જે પાસે હાલ તે બેઠકો છે તે બચાવવામાં પણ સફળ રહેશે કે કેમ તે મોટો સવાલ છે. આ તરફ આજની બેઠકમાં પણ રાહુલ ગાંધીના આકરા તેવર જોવા મળ્યા. બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને પાંચ સવાલો કર્યા હતા, રાહુલે પૂછ્યુ કે અમદાવાદમાં પગ મુક્તાની સાથે જ રાહુલે એક બાદ એક મિટીંગોનો દૌર શરૂૂ કર્યો અને સમય જોયા વિના ગુજરાતના ગ્રાસ રૂૂટથી લઈને તમામ સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. એકતરફ રાહુલ ગાંધીનો ગુજરાતમાં મોદી-અમીત શાહના ગઢમાં જ ભાજપને હરાવવાનો કરેલો હુંકાર અને બીજી તરફ તાજેતરની જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલો કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ. જેને લઈને રાહુલ ગાંધીનું આક્રમક થવુ સ્વાભાવિક હતુ. જો કે આ બે દિવસની તેમની મુલાકાત બે કારણોસર અગત્યની ગણાઈ રહી છે. જેમા એક છે આગામી 8-9 એપ્રિલથી અમદાવાદમાં યોજાવા જઈ રહેલુ કોંગ્રેસનું મહાઅધિવેશન. બીજુ આગામી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસનો રોડમેપ અને રણનીતિ ઘડવા માટેની તૈયારીઓ.

આજની પોલિટિકિલ અફેર્સ કમિટીની બેઠક દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે જ રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને અઢી વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે રાહુલે 2027ની ચૂંટણી માટે અત્યારથી જ રણશીંગુ ફૂંકી દીધુ છે.

500 જેટલા કાર્યકરોને રાહુલ ગાંધી મળ્યા. અને સવારથી સાંજ સુધીમાં 5 બેઠકો યોજી. આ બેઠકમાં કાર્યકરો અને વોર્ડ પ્રમુખોએ રાહુલ ગાંધી સમક્ષ તેમની રજૂઆતો કરી અને એક રીતનો બળાપો પણ ઠાલવ્યો. કાર્યકરોએ રાહુલને જણાવ્યુ કે જૂના લોકોને જ આગળ કરવામાં આવે છે, આ બેઠકમાં કેટલાક કાર્યકરોનો સિનિયર નેતાઓ સામે રોષ પણ જોવા મળ્યો. એટલી હદે આક્રોશમાં હતા કે તેઓ જાહેરમાં નામ આપવા તૈયાર હતા જો કે રાહુલે તેમને જાહેરમાં નામ લેતા અટકાવ્યા હતા.

લંચ બાદ રાહુલે સિનિયર નેતાઓ સાથે રાઉન્ડ ટેબલ યોજી હતી જેમા સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ, વિપક્ષના નેતા અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

સિનિયર નેતાઓને સવાલ
1. સવર્ણો કોંગ્રેસથી વિમુખ કેમ થઈ રહ્યા છે?
2. અનેક સમસ્યાઓ છતા એક મોટો વર્ગ ભાજપથી વિમુખ કેમ નથી થતો?
3. જ્યારે- જ્યારે ગુજરાતમાં ત્રીજો પક્ષ સક્રિય થાય તો કોંગ્રેસના મત જ કેમ તૂટે છે?
4. 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતા ભાજપના મત કેમ નથી ઘટતા?
5. ડાયમંડ, ટેક્સ્ટાઈલ, સિરામીક સહિતના ઉદ્યોગોમાં મંદી છતા રોષ કેમ બહાર નથી આવતો?

Exit mobile version