મૂળી તાલુકામાંથી ‘આપ’નો સફાયો, આગામી સમયમાં ખેડૂત સંમેલન યોજવા કરપડાની જાહેરાત
ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ પહેલી બેઠક યોજી હતી. રાજુ કરપડાએ મૂળી તાલુકાના ખેડૂતો સાથે બેઠક યોજી હતી. આ તકે મૂળી તાલુકાના ખેડૂતો અને કાર્યકર્તાઓએ રાજુ કરપડા સાથે હંમેશા રહેવાની જાહેરાત કરી હતી. વધુમાં, 50થી વધુ હોદ્દેદારોએ સ્વેચ્છાએ ગુજરાત આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
આમ આદમી પાર્ટીમાંથી (AAP) રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ મૂળી તાલુકાના કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે પોતાની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. રાજુ કરપડાના સમર્થનમાં 50થી વધુ હોદ્દેદારોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાક્રમ બાદ રાજુ કરપડાએ દાવો કર્યો હતો કે, મૂળી તાલુકામાંથી હવે ’AAP’ નો સફાયો થઈ ગયો છે.
આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ખેડૂતો અને કાર્યકર્તાઓએ રાજુ કરપડા પ્રત્યે અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, “અમે તમારી સાથે સુખમાં હતા, તો દુ:ખમાં પણ સાથે જ રહીશું. અત્યાર સુધી અનેક નેતાઓ અને ધારાસભ્યો આવ્યા, પરંતુ ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજુભાઈ જેવું કોઈ નથી. કાર્યકર્તાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “તમે જે પક્ષમાં લઈને જશો ત્યાં અમે તમારી સાથે છીએ”.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે પોતાના ભવિષ્યના રાજકીય પગલાં વિશે વાત કરતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, “અત્યારે મેં કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાવાનું નક્કી નથી કર્યું. હું ખેડૂતો સાથે મળીશ અને મારા ખેડૂતો જેમ મને કહેશે તેમ હું આગળના સમયમાં નિર્ણય લઈશ”. વધુમાં, રાજુ કરપડાએ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે મળીને એક વિશાળ ખેડૂત સંમેલન યોજવામાં આવશે. રાજુ કરપડાએ જ્ઞાતિ-જાતિના વાડાથી ઉપર ઉઠીને “હું ખેડૂત છું, હું મજદૂર છું” તેવી ભાવના સાથે સમાજને એક કરવા પર ભાર મૂક્યો હતો.

