મહારાષ્ટ્રના બારામતીમાં સવારે ખાનગી વિમાનનું ક્રેશ લેન્ડિંગ, વિમાન રન વેથી ઉતરી ખીણમાં પડી અગનગોળામાં ફેરવાઇ ગયું
મહારાષ્ટ્રના બારામતીમાં આજે સવારે વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહીત પાંચ લોકોના કરૂણ મોત નિપજયા હતા. આજે સવારે મુંબઇથી બારામતી કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે અજિત પવારનું વિમાન લેન્ડીંગ દરમિયાન રનવેથી નીચે ઉતરી જતા ક્રેશ થઇ ગયું હતું અને અગનગોળામાં ફેરવાઇ ગયું હતું.
https://x.com/ANI/status/2016360094838190589?s=20
આ ભયાનક દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર ઉપરાંત તેના સેક્રેટરી, બે પાઇલોટ તથા એક સહાયકનાં સ્થળ પર જ કરૂણ મોત નિપજયા હતા. આ દુર્ઘટના બાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી જાહેર કરી દેવાઇ હતી અને તાબડતોબ બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું હતું.પરંતુ વિમાનમાં સવાર અજીત પવાર સહીતના લોકોને બચાવી શકાયા ન હતા અને તમામનાં અર્ધબળેલા મૃતદેહો જ હાથ લાગ્યા હતા.
આ દુર્ઘટનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં શોકની લાગણી ફેલાઇ જવા પામેલ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત ગૃહમંત્રી ફડણવીશ સહીતના નેતાઓ અને પવાર પરિવારના સભ્યો બારામતી દોડી ગયા છે. મૃતકોના શબ નજીકની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર આજે સવારે બારામતી ખાતે જિલ્લા પરિષદમાં ચુંટણીના પ્રચાર માટે મુંબઇથી ખાનગી વિમાનમાં જવા નિકળ્યા હતા અને સવારે 8-45 વાગ્યા આસપાસ બારામતી એરપોર્ટ ઉપર વિમાન લેન્ડીંગ કરી રહ્યું હતુ તે દરમિયાન અચાનક જ વિમાન ફંડોરાયું હતું અને રનવે પરથી નીચે ઉતરી સીધુ ખિણમાં ગગડયું હતું અને અગનગોળામાં ફેરવાઇ ગયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર ઉપરાંત તેના સ્ટાફના બે કર્મચારી અને બે પાઇલોટ ભડથુ થઇ ગયા હતા. બારામતી વિસ્તાર અજીત પવારના પિતરાઇ બહેન સુપ્રિયા શુલેનો જ મત વિસ્તાર હોય સુપ્રિયા શુલે પણ ઘટનાની જાણ થતા એરપોર્ટ દોડી ગયા હતા.
ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશને આપેલી માહિતી પ્રમાણે આ વિમાન લિયર જેટ-45 હતું જેનુ રજીસ્ટ્રેશન નંબર વીટી-એસએસકે હતો અને આ વિમાન વીએસઆર કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું. ફલાઇટના રેકોર્ડ પ્રમાણે આ વિમાન સવારે 8-45 કલાકે ઇમરજન્સી લેન્ડીંગ માટે પ્રયાસ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ ઘટનાને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરીને માહિતી મેળવવામાં આવી હતી. ગઇકાલે જે તેમણે દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર સરકારની ડેપ્યુટી કમીટીમાં ભાગ લીધો હતો અને આજે વહેલી સવારે તેઓ બારામતી ખાતે જિલ્લા પરિષદની ચુંટણીના પ્રચાર માટે નિકળ્યા હતા.
1991માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા, નવ વખત નાયબ મુખ્યમંત્રી બન્યા હતાં
અજિત અનંતરાવ પવારનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના દેવલાલી પ્રવર ખાતે થયો હતો. તેઓ મરાઠા ખેડૂત પરિવારથી આવે છે. તેમના પિતા અનંતરાવ પવાર શરૂૂઆતમાં પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા વી. શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતા, જ્યારે તેમના દાદા ગોવિંદરાવ પવાર બારામતી સહકારી ટ્રેડિંગ કંપનીમાં કર્મચારી હતા.
અજિત પવારે રાજકીય જીવનની શરૂૂઆત 1982માં કરી હતી, જ્યારે તેઓ ખાંડ મિલોની સહકારી સંસ્થાના બોર્ડના સભ્ય બન્યા. સહકાર ક્ષેત્રમાં મજબૂત પકડ બનાવ્યા બાદ તેઓ 1991માં પુણે જિલ્લા સહકારી બેંકના ચેરમેન બન્યા. આ સમયગાળામાં તેઓ ખેડૂત નેતા અને ઉદ્યોગપતિ તરીકે ઓળખાયા.
1991માં તેઓ પહેલી વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ માત્ર 4 મહિના બાદ રાજીનામું આપી રાજ્ય રાજકારણમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેઓ મહારાષ્ટ્ર સરકારમાં કૃષિ અને ઊર્જા રાજ્યમંત્રી બન્યા. 1995માં બારામતી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા અને ત્યારથી આ બેઠક પર તેમની મજબૂત પકડ રહી છે.
1999માં અજિત પવારને પહેલીવાર કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. તેમણે 1999થી 2003 સુધી સિંચાઈ મંત્રી તરીકે સેવા આપી અને ત્યારબાદ ગ્રામિણ વિકાસ વિભાગ સંભાળ્યો. જળ સંસાધન, ઊર્જા, વિત્ત અને યોજના બનાવવાની વિભાગોમાં તેમની નિર્ણાયક ભૂમિકા રહી છે.
અજિત પવાર અનેક વખત નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ખાસ કરીને 2019માં દેવેન્દ્ર ફડણવીસ સાથે વહેલી સવારે શપથ લીધાનો તેમનો ટૂંકો કાર્યકાળ ખૂબ ચર્ચિત રહ્યો. બાદમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારમાં પણ તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા.
2023માં અજિત પવારના નેતૃત્વમાં ગઈઙમાં મોટો ફાટલો પડ્યો. શરદ પવારથી અલગ થઈ તેમણે ગઉઅ સરકારને ટેકો આપ્યો અને ફરી નાયબ મુખ્યમંત્રી બન્યા. હાલ તેઓ 9મી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમનો તાજેતરનો કાર્યકાળ 5 ડિસેમ્બર 2024થી 27 જાન્યુઆરી 2026 સુધીનો રહ્યો છે. હાલમાં તેઓ વિત્ત, યોજના બનાવવી, રાજ્ય ઉત્પાદન શુલ્ક તેમજ રમત-યુવા કલ્યાણ અને અલ્પસંખ્યક વિકાસ જેવા વિભાગો (અતિરિક્ત પ્રભાર) સંભાળી ચૂક્યા છે. અજિત પવારને સીધાસાદી ભાષા, તીખા નિવેદન અને નિર્ણાયક નેતૃત્વ માટે ઓળખવામાં આવે છે. તેમનું રાજકીય જીવન સફળતા, વિવાદ અને શક્તિશાળી વટ સાથે આગળ વધતું રહ્યું છે.
દુર્ઘટનાના અડધો કલાક પહેલા જ લાલા લજપતરાયને શ્રધ્ધાંજલિની પોસ્ટ મૂકી
મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે સવારે ડેપ્યુટી ઈખ અજિત પવારનું પ્લેન ક્રેશ થયું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં અજિત પવારનું મોત નીપજ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશ થયું તેના અડધો કલાક પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને જેમાં તેમણે મહાન સ્વાતંત્ર્ય સેનાની, સ્વરાજ્યના પ્રણેતા, ’પંજાબ કેસરી’ લાલા લજપત રાયને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

