Connect with us

rajkot

ઉપલેટાના મેલી મજેઠી ગામે સરવે કરવા ગયેલા PGVCLના જુનિયર ઈજનેરને વાડીમાં ઢીબી નાખ્યા

Published

on

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેલી મજેઠી ગામે વીજ જોડાણ માટેના સર્વે કરવા ગયેલા જુનિયર ઈજનેરને વાડીમાંથી પાવર ચોરી મળી આવતાં આ બાબતે ફોટા પાડી કાર્યવાહી કરતાં ઉશ્કેરાયેલા વાડી માલીક સહિત બે શખ્સોએ પીજીવીસીએલના ઈજનેરને 15 મીનીટ સુધી બેરહેમીથી માર મારી કૂવામાં ફેંકી દેવાની ધમકી આપી હતી. બીજી બાજુ ઉચ્ચ અધિકારીને જાણ કરતા પોલીસની મદદ લેતાં અંતે પીજીવીસીએલના જુનિયર ઈજનેરને મુકત કરવામાં આવ્યા હતાં. બાદમાં તેની ફરિયાદ પરથી પોલીસે ફરજમાં રૂકાવટ અને ધમકીનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના રૂષીકેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને પીજીવીસીએલમાં જુનિયર ઈજનેરી તરીકે છ વર્ષથી ફરજ બજાવતાં વિરલભાઈ ભરતભાઈ કાલરીયા (ઉ.28)એ પાટણવાવ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મેલી મજેઠી ગામના વિનોદભાઈ ડાંગર અને અશ્ર્વિનભાઈ ડાંગરના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પીજીવીસીએલમાં કનેકશન આપવા, પાવર સપ્લાય જાળવવા અને પાવર ચોરીનો ચેકીંગ કરવાની કામગીરી કરતાં હોય ગઈકાલે ફરિયાદી તેમજ કોન્ટ્રાકટર પુરણસિંહ અમરસિંહ રાવત અને ડ્રાઈવર ઉપલેટાના મેલી મજેઠી ગામે વિનોદભાઈ ડાંગરની વાડીએ કનેકશન લેવવું હોય તેનું સર્વે કરવા માટે ગયા હતાં. આ વખતે વાડીમાંથી લંગરીયુ જોવા મળ્યું હતું અને પાવર ચોરી થતી હોય ફરિયાદીએ પોતાના મોબાઈલમાં પાવર ચોરીના ફોટા પાડયા હતાં.
ત્યારબાદ વાડીના માલિક વિનોદભાઈ રાજાભાઈ ડાંગર અને તેના ભાઈ અશ્ર્વિન ડાંગરને ‘તમે પાવર ચોરી કરો છો’ તેમ કહેતા બન્ને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જુનિયર ઈજનેરને વાડીમાં પંદર મીનીટ સુધી ગોંધી રાખી બન્ને ભાઈઓએ ઢીકા પાટુ અને લાકડા વડે માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી અને કૂવામાં ફેંકી દેવાની ધમકી પણ આપી હતી. આ વખતે વચ્ચે પડેલા કોન્ટ્રાકટર પુરણસિંહને પણ બન્ને ભાઈઓએ ધોકા વડે માર માર્યો હતો.
જુનિયર ઈજનેરને વાડીમાં ગોંધી રાખી ‘તારા અધિકારીને બોલાવ’ તેમ કહયું હતું. આ બનાવ અંગે અધિકારી મકવાણાને જાણ કરતાં તેઓએ પોલીસને ફરિયાદ કરતાં અંતે પોલીસની ભીંસ વધતાં જુનિયર ઈજનેરને બન્ને શખ્સોએ વાડીમાંથી મુકત કર્યા હતાં. આ બનાવ બાદ જુનિયર ઈજનેરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ તેમની ફરિયાદ પરથી બન્ને ભાઈઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

rajkot

રાજકોટમાં હાર્ટએટેક વધુ એક પરિણીતાને ભરખી ગયો

Published

on

હૃદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રણછોડનગરમાં આવેલા જલગંગા ચોકમાં રહેતા ગીતાબેન મનસુખભાઇ દાવડા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

rajkot

ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી

Published

on

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે અમુક સ્થળોએ કમોસમી વરસાદ પડવા સાથે ઠંડા પવનો નિકળતા વાતાવરણમાં ઠંકર છવાઇ ગઇ છે. અને સવારથી વાદળછાયુ ધ્રાબડીયુ વાતાવરણ સર્જાયુ છે. હજુ આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ગઇકાલે સંતરામપુરમાં એક, કડાણામાં પોણો અને છોટાઉદેપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. તેમજ સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તો ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Continue Reading

rajkot

સોમવારથી ધોરણ 12ના વિદ્યાર્થીના મતદારયાદીમાં નામ ઉમેરવા ઝુંબેશ

Published

on

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા મતદારયાદી સુધારણ કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે યુવા મતદારો મતદાન કરી શકે તે માટે તેમના નામ મતદારયાદીમાં ઉમેરવા સોમવારથી એક નવી ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ધો.12માં ભણતાં તમામ વિદ્યાર્થીઓના મતદાર યાદીમાં નોંધાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોના મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે એક પછી એક અસરકારક પગલાં અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ ઘરે ઘરે જઈ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ કોલેજોમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા જઈને યુવા મતદારોને ઓનલાઈન મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરવું અને ફોર્મ કેવી રીતે ભરવું અને શું શું ડોકયુમેન્ટ જોડવા તે અંગેના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં.
ત્યારબાદ રાજકોટ શહેર અને જિલ્લામાં 2200થી વધુ મતદાન મથકો પર બુથલેવલના ઓફિસરો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવા માટે બે દિવસ ઝુંબેશ કરી હતી અને આગામી તા.3 ડિસેમ્બરને રવિવારના રોજ તેમજ તા.9 ડિસેમ્બર શનિવારના રોજ બુથ લેવલ પર મતદાર યાદી સુધારણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવશે.
બીજી બાજુ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા અમદાવાદની માફક રાજકોટ જિલ્લામાં પણ એક નવો અભિગમ અપનાવી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવવામાં આવી છે અને સોમવારથી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મતદારયાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ આવકારદાયક પગલાંના કારણે રાજકોટ જિલ્લામાં મતદારયાદીમાં નવા નામ ઉમેરવામાં જોરદાર ઉછાળો જોવા મળે તો નવાઈ નહીં.
રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘરે ઘરે જઈ તેમજ બુથ લેવલે કરવામાં આવેલી મતદારયાદી સુધારણ કાર્યક્રમના કારણે રાજકોટ જિલ્લામાં 13600 જેટલા નવા યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા છે. જ્યારે અવસાન થવાના કારણે 9516 જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળાંતર કરેલા અને મતદારોના નામનો સુધારવા કરવામાં 15000 જેટલા ફોર્મ ભરાયા છે.

Continue Reading

Trending