માણાવદર શહેરના તિલક ચેમ્બરથી મિતડી રોડ પર ચાલી રહેલી પેચવર્કની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ સાથે વેપારીઓએ કામ અટકાવી દીધું હતું. રોડની સફાઈ કર્યા વગર જ ધૂળ પર ડામર પાથરવામાં આવતો હોવાનું જણાતા વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કરી હતી, જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સ્થાનિક વેપારી મિતલભાઈ ગરાળાએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, “તિલક ચેમ્બરથી નરેન્દ્રના રોડ સુધી જે ડામરનું કામ ચાલતું હતું, ત્યાં કોઈ પણ પ્રકારની સાફ-સૂફી કર્યા વગર જ કામ શરૂૂ કરી દેવાયું હતું. અમે એન્જિનિયરને રજૂઆત કરી પણ તેઓ સમજતા નહોતા, જેથી અમે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને બોલાવ્યા હતા. જો ધૂળ પર જ ડામર મારી દેવામાં આવે તો આ રોડ 15 દિવસ પણ ટકતો નથી. ધારાસભ્યની ધારદાર રજૂઆત બાદ હવે તંત્ર સફાઈ કરવા વળગ્યું છે.
વેપારીઓના આક્રોશને જોતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરોને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે, રોડની પ્રોપર સફાઈ કર્યા બાદ જ પેચવર્કની કામગીરી આગળ વધારવી. ધારાસભ્યની સૂચના અને વેપારીઓના વિરોધ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યાર બાદ જ વેપારીઓએ કામ શરૂૂ કરવા દીધું હતું.બીજી તરફ, ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે માર્ગ અને મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ સાગર પરમારે તંત્રનો બચાવ કરતા વિચિત્ર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “માણાવદરથી મિતડી સુધી પેચવર્કનું કામ ચાલુ છે.
સફાઈ નથી થતી એવો માત્ર ઇસ્યુ હતો, બાકી અમે સફાઈ તો કરતા જ હતા. અમારે માત્ર કાંકરી રાખવાની હતી અને ધૂળ ઉડાડી દેવાની હતી. સફાઈ કર્યા વગર જ ડામર પાથરી દેવાયો છે,” ત્યારે સાગર પરમારે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, “ના ના, અમે સફાઈ કરેલી જ છે.” જોકે, જો સફાઈ થઈ જ હતી તો ધારાસભ્યના આવ્યા બાદ ફરીથી સફાઈ કેમ શરૂૂ કરવી પડી? તેવા સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે. ધારાસભ્યની મધ્યસ્થી બાદ કામગીરી યોગ્ય રીતે શરૂૂ થઈ છે, પરંતુ તંત્રની આવી લોલંલોલ નીતિ સામે વેપારીઓમાં રોષ યથાવત છે.

