Site icon Gujarat Mirror

જેમની પાસે વધુ સીટો હોય તેને સીએમ પદ આપવાની કોઇ વાત નથી: એકનાથ શિંદે

પીએમ મોદી, નડ્ડા અને બધા સાથે બેસી સીએમ અંગેનો નિર્ણય કરીશું


મહારાષ્ટ્રની વિધાસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા બહાર આવી છે. સીએમ શિંદેએ તમામ મતદારોનો આભાર માન્યો છે અને કહ્યું કે, આ એક વિશાળ જીત છે. અમને તમામ વર્ગોના મત મળ્યા છે. મહાવિકાસ આઘાડીએ 2.5 વર્ષ માત્ર આરોપો લગાવવામાં વિતાવી દીધા. અમે આ આરોપોનો જવાબ નિવેદનોથી નહીં પરંતુ કામથી આપ્યો છે.


સીએમ એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે, મહાયુતિના તમામ કાર્યકર્તાઓ ખંતથી કામ કરી રહ્યા છે. તેઓએ અમને એવી જીત અપાવી છે જે પહેલા ક્યારેય મળી નથી. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે ત્યારે વિકાસ થાય છે. કેન્દ્ર સરકારે હંમેશા અમારા રાજ્યને મદદ કરી છે.


મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું કે, જેમની પાસે વધુ સીટો હોય તેને સીએમ પદ આપવામાં આવે તે અંગે કોઈ એવી વાત થઈ નથી. હવે અંતિમ પરિણામો આવવા દો. આ પછી ત્રણેય પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે. પીએમ મોદી છે,જેપી નડ્ડા છે, અમે બધા સાથે મળીને નિર્ણય કરીશું. એકનાથ શિંદેએ કહ્યું કે, જે રીતે મહાયુતિએ એક થઈને ચૂંટણી લડી છે, તે જ રીતે બધા સાથે બેસીને સીએમ પદનો નિર્ણય કરશે.


સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, જનતાએ 2.5 વર્ષથી મહાયુતિનું કામ જોયું છે અને પોતાનો મત આપીને વિજયી બનાવ્યા છે. અમને લાડલી બહેનો અને પ્રિય ભાઈઓ સહિત દરેકના મત મળ્યા છે. દરેક વ્યક્તિ સાથે મળીને આગળના નિર્ણયો લેશે. મહાવિકાસ આઘાડીએ 2.5 વર્ષ માત્ર આરોપો લગાવવામાં જ વિતાવ્યા. અમે આરોપોનો જવાબ નિવેદનોથી નહીં પરંતુ કામથી આપ્યો છે.

Exit mobile version