શ્રાવણ સુદ એકમને શુક્રવાર તા.25 જુલાઇ 2025ના દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. શુક્રવારે સાંજના 4.01 કલાક સુધી પુષ્ય નક્ષત્ર છે. જે ધર્મ પુજા પાઠ તપ માટે ઉતમ ગણવામાં આવે છે. આથી આ વર્ષે શ્રાવણ મહીનાના પહેલા દિવસે જ પુષ્ય નક્ષત્ર હોમા ઉતમ ગણાશે.
શ્રાવણ મહીનામાં શુદ પક્ષમાં આઠમ તિથિ વૃધ્ધિ તિથિ છે. જયારે વદ પક્ષમાં પાંચમ તિથિનો ક્ષય છે. તથા શ્રાવણ મહીનો તા.25-7-25 થી 23-8-2025 સુધી ચાલશે. આમ પુરા 30 દિવસનો શ્રાવણ મહીનો છે. જે શારૂ ગણાય.
શ્રાવણ મહીનાનું પૌરાણીક કથા પ્રમાણે મહત્વ જોઇએ તો સનતકુમારો શિવજીને પુછે છે કે શ્રાવણ મહીનામાં જ શિવ પુજા શા માટે ઉતમ ગણાય ત્યારે શિવજી પોતે કહે છે શ્રાવણ મહીનાના દિવસો દરમ્યાન માતા પાર્વતીએ શિવજીને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને માતા પાર્વતીને શિવજી પ્રસન્ન થયા હતા અને શિવજીએ માતા પાર્વતી સાથે વિવાહ કરેલ. આમ શ્રાવણ મહીનામાં જેમ પાર્વતી માતાએ તપ દ્વારા શિવજીને મેળવેલ આથી જ લોકો માટે શ્રાવણ મહીનો શિવપુજા માટે ઉતમ ગણાય છે. શ્રાવણ મહીનામાં શિવપુજા કરવાથી મહાદેવજી જલદી પ્રસન્ન થાય છે.
શ્રાવણ નક્ષત્ર ઉપરથી શ્રાવણ માસના નામ પડેલ છે. શ્રાવણ નક્ષત્રને પુજા પાઠ જપ તપ માટે ઉતમ ગણવામાં આવે છે. આથી જ શ્રાવણ મહીનામાં કરેલ પુજા ઉતમ ફળ આપે છે. શ્રાવણ મહીનામાં શિવજીની ભક્તિ તથા વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવાથી તમામ દુ:ખોમાંથી ઉગરી જવાય છે. શિવજી નિરાકાર હોવાથી શિવલિંગની પુજા કરવામાં આવે છે. શિવલીંગની પુજામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાની પુજા આવી જાય છે. શિવલિંગ ત્રણ ભાગમાં વહેચાયેલ છે. તે શ્ર્લોક પ્રમાણે આ રીતની છે.
ખુલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુ રૂપીણે અગ્રત શિવરૂપાય
આમ શિવલિંગ ત્રણ ભાગમાં વહેચાયેલ છે. જમીનની અંદર ત્રીજો ભાગ બ્રહ્માજી છે. મધ્યમાં વિષ્ણુ ભગવાન છે અને શિવલીંગના ઉપરના ભાગે સ્વયં શિવજીનો વાસ હોય છે. આમ શિવલિંગની પુજા કરવાથી ત્રણેય મહાદેવતાની પુજાનુ ફળ મળે છે.
શિવમુષ્ટી પુજા
ચારેય સોમવારે શિવલિંગ ઉપર આ પ્રમાણે એક મુઠ્ઠી ધાન્ય ચઢાવવાથી મનોકામના પુર્ણ થાય છે. આને શિવમુષ્ટી પુજા કહેવાય છે. આ પુજાનો પંચાગ તથા પુરાણમાં ઉલ્લેખ છે. પહેલો સોમવાર તા.28 જુલાઇ શિવલીંગ ઉપર એક મુઠ્ઠી ચોખા ચડાવવા. બીજા સોમવારે તા.4 ઓગસ્ટ શિવલિંગ ઉપર એક મુઠ્ઠી કાળા તલ ચડાવવા. ત્રીજા સોમવારે તા.11 ઓગસ્ટ શિવલિંગ ઉપર એક મુઠ્ઠી મગ ચડાવવા. ચોથા સોમવારે તા.18 ઓગસ્ટ શિવલિંગ ઉપર એક મુઠ્ઠી જવા ચડાવવા. આમ ચારેય સોમવારે શિવજી ઉપર ધાન્ય ચડાવવાથી જીવનમાં શાંતિ મળે છ ે પ્રગતી થાય છે. શ્રાવણ મહીના દરમ્યાન શિવજી ઉપર અલગ અલગ દવ્યથી પુજા કરી શકાય છે અને આ દવ્ય ચડાવવાથી મનોકામના સિધ્ધ થાય છે.
* સંતાન પ્રાપ્તી માટે ચોખા ચડાવવા * ધન પ્રાપ્તી માટે શેરડીનો રસ અથવા બીલીપત્ર ચડાવવા * નવગ્રહ શાંતી માટે કાળા તલથી અભિષેક કરવો. * રાજયોગ માટે ઘી ચડાવવું * માનસીક બીમારી દુર કરવામાટે સાકરવાળા પાણીથી અભિષેક કરવો. * શત્રુ દુર કરવામાં સરસવના તેલથી અભિષેક કરવો. * શિવલિંગ ઉપર દુધ ચડાવાથી સર્વ મનોકામના સિધ્ધ થાય છે.શિવ જલધારા પ્રિય શિવજી ઉપર જળ અભિષેક કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે. ઘણા બહેનો શ્રાવણ સુદ એકમને શુક્રવારથી દશામાનું વ્રત શરૂ કરશે સ્થાપના કરશે.
જીવંતિકામાં વ્રત પુજા
શ્રાવણ મહીનાના દર શુક્રવારે બહેનો સંતાન પ્રાપ્તી માટે તથા સંતાનોની રક્ષા માટે લાલ સાડી પહેરી અને જીવંતીકા માતાજીનું વ્રત રહે છે. ખાસ કરીને આ શ્રાવણ મહીના દરમિયાન બહેનોને પાંચ શુક્રવારના જીવંતીકા માતાજીના વ્રતનો લાભ મળશે. ઘણા બહેનો એક શુક્રવારનું વ્રત પણ રહે છે.

