અમરેલી લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસની કાર્યવાહીને લઈ સર્જાયેલા વિવાદમાં હવે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે. પરેશ ધાનાણીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે કાયદાની વિરુદ્ધ જઈ કાર્ય કર્યું હતું. પોલીસે રાજકીય નેતાઓનાં ઇશારે કોઈ પણ નોટિસ વગર દીકરીની અડધી રાતે ધરપકડ કરી કસ્ટડીમાં લીધી હતી. આ સાથે પરેશ ધાનાણીએ ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને કૌશિક વેકરીયાને પડકાર ફેંક્યો છે.
અમરેલી લેટલકાંડમાં પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવા સહિતની પોલીસ કાર્યવાહી સામે એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે હવે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મામલે નિવેદન આપીને પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવ્યા છે સાથે ગંભીર આક્ષેપ પણ કર્યા છે. તેમણે કહ્યું કે, પોલીસે રાજકીય નેતાઓનાં ઇશારે કોઈ પણ નોટિસ વગર દીકરીની ધરપકડ કરી કસ્ટડીમાં લીધી હતી. આ સાથે પરેશ ધાનાણીએ જવાબદાર પોલીસકર્મીઓને હોદ્દા પરથી દૂર કરવાની માગ કરી છે અને જો દૂર ન કરાયા તો રાજકમલ ચોક ખાતે ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ચપટી વગાડી દીકરીને પટ્ટા ખવડાવ્યા હવે ચીર પૂરાવશો કે નહીં કૌશિકભાઇ ?
પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વિધાનસભાનાં નાયબ દંડક કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર આપ્યો છે. પરેશ ધાનાણીએ કૌશિક વેકરીયાને આવતીકાલે રાજકમલ ચોક ખાતે આવવા પડકાર આપ્યો છે. પરેશ ધાનાણીએ કૌશિક વેકરીયા વિરુદ્ધનો પત્ર અને સહી અસલી છે તેમ જણાવ્યું હતું અને સામસામે બેસી પત્રનો ખુલાસો કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, કાલે 6 વાગ્યે આવીને સામસામા બેસીને ખુલાસો કરો કે પત્રની સચાઈ શું છે ? ચપટી વગાડી દીકરીને પટ્ટા ખવડાવ્યા હવે 24 કલાકનો સમય કૃષ્ણ બનીને ચિર પૂરાવશો કે નહિ! જો કે, હવે આવતીકાલે કૌશિક વેકરીયા પૂર્વ નેતા વિપક્ષનાં પડકારને ઝીલી સામે આવશે કે કેમ તેને લઈને રાજકારણ ગરમાયું છે.