Site icon Gujarat Mirror

દેશના પ્રથમ ઇચ્છામૃત્યુ કેસના હરીશ રાણાની અંત્યેષ્ઠિ પૂરી

એક સમયે જીવનભરના સપનાઓ સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા નીકળેલા હરીશ રાણાનું નિધન થયું હતું. 13 વર્ષ કોમામાં રહ્યા પછી હરીશે આખરે દુનિયાને અલવિદા કહ્યું. બુધવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાઈએ મુખાગ્નિ આપી હતી. 2013માં હરીશ હોસ્ટેલના ચોથા માળેથી પડી ગયા બાદ કોમામાં સરી પડ્યા હતા અને ત્યારથી તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનું જીવન હોસ્પિટલો અને મશીનોમાં સીમિત થઈ ગયું હતું. સમય પસાર થતો ગયો પરંતુ તેઓ ક્યારેય ભાનમાં આવ્યા નહીં. પરિવાર માટે આ રાહ ધીમે ધીમે અનંત વેદનામાં ફેરવાઈ ગઈ હતી.

11 માર્ચ 2026ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે હરીશ રાણા કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણાને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી, જે છેલ્લા 13 વર્ષથી પથારીવશ હતા. ભારતમાં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો આ પહેલો કેસ છે. હરીશ રાણાને 14 માર્ચે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

15 માર્ચે તેમનો પ્રવાહી ખોરાક બંધ કરી દેવામાં આવ્યો હતો અને 17 માર્ચે પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરિણામે, છેલ્લા 10 દિવસથી તેમને ખોરાક અને પાણી આપવાનું બંધ હતું.

સુપ્રીમ કોર્ટે હરીશ રાણાને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ આપતી વખતે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા ગૌરવ સાથે હાથ ધરવામાં આવે તેની ખાતરી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પારડીવાલાએ જણાવ્યું હતું કે, “આ ખૂબ જ દુ:ખદ અહેવાલ છે. આ અમારા માટે મુશ્કેલ નિર્ણય છે. પરંતુ અમે હરીશને આટલા મોટા દુ:ખમાં નાખી શકીએ નહીં. અમે એવા તબક્કે છીએ જ્યાં આજે અમારે અંતિમ નિર્ણય લેવો પડશે.”

હરીશ રાણાના માતા-પિતાએ તેમના પુત્રના સ્વસ્થ થવાની આશા છોડી દીધી હતી. હરીશ 100% અપંગ હતા. પરિણામે, તેમના માતા-પિતાએ કોર્ટમાં ઈચ્છામૃત્યુ માટે અરજી કરી હતી. નિર્ણય બાદ ધીમે ધીમે લાઈફ સપોર્ટેડ સિસ્ટમ્સ દૂર કરવામાં આવી હતી અને આજે એટલે કે, મંગળવાર- 24 માર્ચ 2026ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Exit mobile version