Site icon Gujarat Mirror

કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટની આજીવન કેદની સજા સ્થગિત કરવા સુપ્રીમનો ઇનકાર

 

સુપ્રીમ કોર્ટે ગુજરાતના ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે સંજીવ ભટ્ટને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, ખંડપીઠે તેમની ફોજદારી અપીલની સુનાવણી ઝડપી કરવા નિર્દેશ આપ્યો છે.

જસ્ટિસ મહેતાએ આદેશ સંભળાવતા કહ્યું, અમે અરજદારને જામીન પર મુક્ત કરવા માટે સંમત નથી. અમારી ઉપરની ટિપ્પણીઓ ફક્ત જામીન સુધી મર્યાદિત છે અને અરજદાર અને સહ-આરોપીઓની અપીલો પર તેની કોઈ અસર રહેશે નહીં. અરજદારની માંગણીઓ રદ કરવામાં આવે છે, ગત 28 ફેબ્રુઆરીએ કોર્ટે આદેશ અનામત રાખ્યો હતો.

તેમણે ભટ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશનમાં દાખલ અરજીની સુનાવણી કરી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટના જાન્યુઆરી 2024ના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો, જેણે તેમની દોષિત ઠરાવવા અને સજા સામેની અપીલને ફગાવી દીધી હતી.
આ ઘટના નવેમ્બર 1990માં પ્રભુદાસ માધવજી વૈષ્ણવાની કથિત કસ્ટોડિયલ ત્રાસને કારણે થયેલી મૃત્યુ સાથે સંબંધિત છે. તે સમયે, ભટ્ટ જામનગરના મદદનીશ પોલીસ અધિક્ષક હતા, જેમણે અન્ય અધિકારીઓ સાથે મળીને ભારત બંધ દરમિયાન રમખાણો કરવા બદલ વૈષ્ણવાની સહિત લગભગ 133 લોકોની અટકાયત કરી હતી.

નવ દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવેલા વૈષ્ણવાની જામીન પર છૂટ્યાના દસ દિવસ પછી મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુ બાદ, ભટ્ટ અને અન્ય કેટલાક અધિકારીઓ સામે કસ્ટોડિયલ ત્રાસના આરોપો હેઠળ FIR નોંધવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે 1995માં કેસની નોંધ લીધી હતી. જો કે, ગુજરાત હાઈકોર્ટના સ્ટેને કારણે ટ્રાયલ 2011 સુધી સ્થગિત રહી હતી. બાદમાં સ્ટે વેકેટ કરવામાં આવ્યો અને ટ્રાયલ શરૂૂ થઈ.

Exit mobile version