Site icon Gujarat Mirror

રાજ્ય સરકારે વકીલોના વેલ્ફેર ફંડ માટે પાંચ કરોડનો ચેક અર્પણ કર્યો

રાજ્યના વકીલો-ધારાશાસ્ત્રીઓની સુખાકારી જળવાઈ રહે તથા તેમને ગંભીર માંદગીના કપરા સમયે કે મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને સમયસર આર્થિક સહયોગ મળે તેવી માનવીય સંવેદના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે દર્શાવી છે.

આ હેતુસર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં રૂૂ.5 કરોડ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના કલ્યાણ અર્થે ફાળવવા માટે જે જોગવાઇ કરવામાં આવે છે તે મુજબ આવી રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ધારાશાસ્ત્રીઓને વેલ્ફેર ફંડમાંથી મૃત્યુસહાય તેમજ માંદગીસહાયની રકમો ચુકવવામાં મદદરૂૂપ થાય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2025-26ના બજેટની જોગવાઈ અનુસાર રૂૂ. પાંચ કરોડની રકમનો આ ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ જે. જે. પટેલને કાયદા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અર્પણ કર્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ જે. જે. પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર સમાજના દરેક વર્ગોના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી માટે પ્રતિબદ્ધ છે તે માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વેલ્ફેર ફંડમાં 52,593 વકીલો સભ્ય તરીકે નોંધાયેલા છે અને અંદાજે 3,000 વકીલોને માંદગી સહાય આ ફંડમાંથી અપાઈ છે. તાજેતરમાં 27 વકીલોને રૂૂ. 37 લાખની સહાય ચૂકવાઇ છે. કાર્યકારી કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને કાયદા વિભાગના અધિકારીઓ આ ચેક અર્પણ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version