Site icon Gujarat Mirror

સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું કેન્સરથી નિધન

રવિવારના મેચમાં રમવા અંગે અવઢવ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહ માટે એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. એકબાજુ રિંકુ ટી-20 વર્લ્ડ કપમાં દેશ માટે મેદાન પર પરસેવો પાડી રહ્યો છે, ત્યારે બીજી બાજુ તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ નિધન થયું છે.

રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહ છેલ્લા કેટલાક સમયથી ચોથા સ્ટેજના લિવર કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની તબિયત વધુ લથડતા તેમને ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમને મિકેનિકલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને કિડની રિપ્લેસમેન્ટ થેરાપી પણ ચાલી રહી હતી, પરંતુ તમામ પ્રયત્નો છતાં ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા.

પિતાના નિધનને પગલે રિંકુ સિંહ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો સાથ છોડીને ઘરે પરત ફરશે. ભારતનો આગામી અને નિર્ણાયક મેચ 1 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતામાં રમાવાનો છે. હવે જોવાનું એ રહેશે કે રિંકુ આ આઘાતમાંથી બહાર આવીને આ મહત્વના મેચ પહેલા ટીમ સાથે જોડાઈ શકે છે કે નહીં.

Exit mobile version