Site icon Gujarat Mirror

વઢવાણના વસ્તડીમાં માતાજીના મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા, ભાવિકોમાં રોષ

વઢવાણ તાલુકાના વસ્તડી સામાકાંઠા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી જવા પામી છે. તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીની ઉઠાંતરી કરી નાસી છુટયા છે. આ સમગ્ર ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. જોરાવરનગર પોલીસે સીસીટીવી કુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

વસ્તડી સામાકાંઠાના મેલડી માતાજીનું મંદિર ભક્તોમાં આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે તેમજ માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ નહીં પરંતુ જિલ્લા બહારથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે મોડી રાત્રે વસ્તડી મેલડી માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કુટેજ પણ સામે આવ્યા છે. આ સીસીટીવી કુટેજમાં જોવા મળતા સમય મુજબ બે બુકાનીધારી શખ્સો અંદાજે રાત્રે 12.35ની આસપાસ મંદિરમાં પ્રવેશતા નજરે પડે છે અને મેલડી માતાજીની મૂર્તિની સામે લોખંડની ગ્રીલ પાસે રાખેલી લોખંડની દાનપેટીને બંને ઊંચકી મંદિરમાંથી બહાર લઈ નાસી છુટતા નજરે પડી રહ્યાં છે.

આ બનાવ અંગે મંદિરમાં પુજા કરતા પુજારીને જાણ થતાં ગામના સરપંચ સહિત આગેવાનોને જાણ કરી હતી. ગ્રામજનો સહિતનાઓ સ્થળ પર પહોંચી આ ઘટનાની જોરાવરનગર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને સીસીટીવી કુટેજના આધારે નાસી છુટેલા તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે દાનપેટીમાં કેટલી રકમ હતી અને છેલ્લે દાનપેટી ક્યારે ખોલવામાં આવી હતી તે અંગે વધુ તપાસ બાદ જ સાચી હકિકત બહાર આવશે. પોલીસ દ્વારા તાત્કાલીક તસ્કરોને ઝડપી પાડવામાં આવે અને નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ તેમજ વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે હવે તસ્કરોએ મંદિરોને પણ ટાર્ગેટ બનાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Exit mobile version