Site icon Gujarat Mirror

શિંદે ફરી મુખ્યમંત્રી બનશે: યુતિમાં ખેંચતાણ વચ્ચે સેનાના મંત્રીનો દાવો

મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલાં એકબીજાના નેતાઓને ખેંચવાની હોડથી અણબનાવ

પક્ષપલ્ટાના આરોપોને લઈને મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં વધતી જતી અણબનાવ વચ્ચે, પાર્ટીના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મહારાષ્ટ્રના નેતાઓને સંયમ રાખવાની સલાહ આપી છે.
રાજ્ય સરકારમાં શિવસેના ક્વોટાના મંત્રી દાદા ભૂસેએ કહ્યું છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે એવા મુખ્યમંત્રી રહ્યા છે જે લોકોના હૃદયમાં રહે છે અને લોકો તેમને ફરીથી રાજ્યનું નેતૃત્વ કરતા જોશે.

તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે શિવસેના અને ભાજપ, જે બંને શાસક મહાયુતિ ગઠબંધનનો ભાગ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા એકબીજાના નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાને લઈને સંબંધો તણાવપૂર્ણ છે. મીડિયા અહેવાલો અનુસાર, ભૂસેએ કહ્યું, ‘મહારાષ્ટ્રએ ક્યારેય એકનાથ શિંદે જેવો દુર્લભ મુખ્યમંત્રી જોયો નથી. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ કહ્યું છે કે રાજ્યએ ક્યારેય એવો મુખ્યમંત્રી જોયો નથી જેણે આટલી બધી મહત્વપૂર્ણ મંજૂરીઓ આપી હોય.

ભાજપના ધારાસભ્ય તાનાજી મુટકુલેએ શિવસેનાના ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે 2022માં પક્ષના વિભાજન દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી એકનાથ શિંદે જૂથમાં જવા માટે ધારાસભ્યએ કથિત રીતે પૈસા લીધા હતા. તેમણે કહ્યું કે કલામનુરી મતવિસ્તારના શિવસેના ધારાસભ્ય સંતોષ બાંગરે 2022માં પક્ષ બદલવા માટે 50 કરોડ રૂૂપિયા લીધા હતા.

સ્ટિંગ ઓપરેશન મામલે રાણેબંધુઓ સામસામે
શિવસેનાના ધારાસભ્ય અને નારાયણ રાણેના મોટા પુત્ર નીલેશ રાણેએ બુધવારે દાવો કર્યો કે તેમણે સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં ભાજપના કાર્યકર વિજય કેનવડકરના ઘરેથી મતદારોને વહેંચવા માટે રાખેલી રોકડ ભરેલી બેગ પકડી છે. તેમણે કહ્યું કે આ સ્ટિંગ ઓપરેશન તેમણે પોતે કર્યું છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. નીલેશે આ રોકડને ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણના તાજેતરના કોંકણ પ્રવાસ સાથે જોડતા ગંભીર આરોપો લગાવ્યા. આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નાના પુત્ર અને ભાજપના કેબિનેટ મંત્રી નિતેશ રાણે પોતાના જ મોટા ભાઈના આરોપોના જવાબમાં મેદાનમાં ઉતર્યા. તેમણે કહ્યું, ‘વિજય ભાજપના કાર્યકર હોવાની સાથે એક વેપારી પણ છે. તેમના ઘરે રોકડ રાખવી એ શું ગુનો છે?’ નિતેશે કડક ચેતવણી આપતા કહ્યું, ‘હમામ મેં સબ નંગે હૈ. રવીન્દ્ર ચવ્હાણ પર પાયાવિહોણા આરોપો લગાવીને શિવસેના ગંદી રાજનીતિ કરી રહી છે.’ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે પણ કહ્યું કે, ‘હું 2 ડિસેમ્બર સુધી ગઠબંધનને કારણે ધીરજ રાખી રહ્યો છું, ત્યારબાદ જડબાતોડ જવાબ આપીશ.’

Exit mobile version