Site icon Gujarat Mirror

કાલાવડ પંથકમાં અનેક ખેડૂતો સાથે રૂા.97 લાખની છેતરપિંડી

સોરઠા સહિતના ગામોમાંથી ખેતપેદાશો ખરીદી નારદે ધુંબા મારી દીધા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહીને ખેતી કામ કરતા ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ કરી ને જણાવ્યું છે, કે પોતાની તથા અન્ય કેટલાક ખેડૂતોની આશરે 96,97,601 જેટલી રકમની જુદી જુદી ખેત પેદાશો મેળવી લઈ નાણાં નહીં ચૂકવી વિશ્વાસગાત અને છેતરપિંડી કરવા અંગે કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત કુલદીપભાઈ કોઠીયા પાસેથી આરોપી દિલીપ સાવલિયાએ મગફળી તથા તલ વગેરેનો જથ્થો ખરીદ કર્યો હતો, ઉપરાંત સફેદ ચણા સહિતની અન્ય ખેતપેદાશો ની કાલાવડના ગ્રામ્ય વિસ્તારના કેટલાક ખેડૂતો પાસેથી ખરીદી કરી હતી. કુલ 96,97,601 જેટલી માતબર રકમની જુદી જુદી ખેતપેદાશોની ખરીદી કરી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ નાણાં નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં આખરે તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ એન.વી. આંબલીયા અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરાઈ છે. આરોપી દિલીપ સાવલિયા હાલ ભાગી છૂટ્યો છે, તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે સમગ્ર મામલામાં પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં છરી ઝીંકી લૂંટ
જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને વાણંદ કામ કરતા એક યુવાનને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી તેના ખિસ્સામાંથી રૂૂપિયા 1,800 ની રોકડ રકમ સાથેનું પર્સ લૂંટી લેવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી વાણંદ યુવાન રમેશ દિનેશભાઈ જગતિયા, કે જે ગઈકાલે મયુર નગર વિસ્તારમાંથી રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ આવીને તેને મારઝુડ કરી હતી, અને હાથમાં છરી વડે હુમલો કરી દીધો હતો, તેમજ તેના ખિસ્સા માંથી રૂૂપિયા 1,800 ની રોકડ રકમ સાથેનું પાકી ઝુંટવી લઈ ભાગી છુટ્યા હતા. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એન એમ ઝાલા ત્રણેય શખ્સોને શોધી રહ્યા છે.

 

Exit mobile version