Site icon Gujarat Mirror

ટેક્નિકલ કોર્સમાં પ્રવેશ મેળવનાર એસસીના છાત્રોને મેનેજમેન્ટમાં મળશે શિષ્યવૃત્તિ

રાજ્યમાં ટેકનિકલ શિક્ષણમાં સરકારી ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટા એટલે કે બન્ને ક્વોટામાં પ્રવેશ લેનારા અનુ.જનજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. ગત વર્ષે માત્ર સરકારી ક્વોટામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ જાહેરાત કરવામાં આવી ત્યારે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી હોવાથી ભારે વિરોધ થયો હતો. હવે સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ કરીને વર્ષ 2024-25માં બન્ને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા અનુ.જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત ફ્રી અને પેઇડ બન્ને પ્રકારની બેઠકો પર પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવતો હતો. જેના અનુસધાનમાં રાજ્ય સરકાર દ્વારા મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય કરાયો ત્યાં સુધીમાં ડિપ્લોમા-ડિગ્રી ઇજનેરીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી હતી.

જે તે સમયે સ્વનિર્ભર ડિપ્લોમા કોલેજ એસો. દ્વારા આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરાયો હતો. કારણ કે, પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા પછી આ નિર્ણય કરાયો હતો. અનેક વિદ્યાર્થીઓને નિર્ણયની જાણ ન હોવાથી તેઓએ શિષ્યવૃત્તિની અપેક્ષાએ મેનેજમેન્ટ ક્વોટાની બેઠક પર પ્રવેશ લીધો હતો. સરકાર તાકીદે જાહેરાત ન કરે તો અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ હતી. જોકે, હવે સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર કરી વર્ષ 2024-25ના વર્ષ પુરતાં બન્ને ક્વોટામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવાની જાહેરાત કરી છે.

Exit mobile version