Site icon Gujarat Mirror

સાવજ ડેરીના ચેરમેને પુત્રવધૂને ટિકિટ અપાવવા પાડ્યો ખેલ

જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. માણાવદર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ બોરખતરીયાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખી, દિનેશ ખટારીયા દ્વારા પક્ષના નિયમો નેવે મૂકીને સત્તાના જોરે પરિવારવાદ ચલાવ્યો હોવાના સનસનીખેજ આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે. જૂનાગઢ જિલ્લામાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે ભાજપના પાયાના અને નિષ્ઠાવાન કાર્યકર રાજુ બોરખતરીયાએ પક્ષના સંગઠન સામે બાયો ચડાવી છે.

તેમણે પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પક્ષની માર્ગદર્શિકા સ્પષ્ટ છે કે જે ત્રણ ટર્મ સુધી ચૂંટણી લડ્યા હોય તેમને અથવા તેમના વંશજોને ટિકિટ આપવી નહીં. આમ છતાં, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા સંગઠને મળીને આ નિયમનો ભંગ કર્યો છે. ષડયંત્ર મુદ્દે કડક કાર્યવાહી કરવા માણાવદર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ બોરખતરીયાએ માંગ કરી છે. રાજુ બોરખતરીયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લા પંચાયતની 13-કણજા બેઠક પર દિનેશભાઈ ખટારીયાએ પોતાના વેવાઈ ભીમાભાઈ દાનાભાઈ ડાંગરને પક્ષનું મેન્ડેટ અપાવ્યું હતું, પરંતુ આ માત્ર એક કાવતરાનો ભાગ હતો. મુખ્ય ઉમેદવાર તરીકે ભીમાભાઈનું ફોર્મ ભરાવ્યા બાદ, ડમી ઉમેદવાર તરીકે કિરણબેન ડાંગરનું ફોર્મ ભરાવવામાં આવ્યું હતું.

પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર, પૂર્વ આયોજિત ષડયંત્ર મુજબ મુખ્ય ઉમેદવાર (વેવાઈ)નું ફોર્મ ટેકનિકલ ખામીના બહાને રદ કરાવવામાં આવ્યું. જેના કારણે ડમી ઉમેદવાર કિરણબેન ડાંગરનું ફોર્મ માન્ય રહ્યું. મહત્વની વાત એ છે કે, કિરણબેન એ દિનેશભાઈ ખટારીયાના પુત્ર મયુરભાઈના પત્ની એટલે કે તેમની સગી પુત્રવધૂ છે. રાજુભાઈના મતે, ગુજરાત ભાજપના ઇતિહાસમાં સત્તાવાર ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવી આ પ્રથમ શરમજનક ઘટના છે. આ સમગ્ર મામલે પૂર્વ મહામંત્રીએ માત્ર દિનેશ ખટારીયા જ નહીં, પરંતુ જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પર પણ આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જિલ્લા સંગઠનની મિલીભગત વગર આ પ્રકારનું કાવતરું શક્ય નથી. પોતાના જ ઘરમાં ટિકિટ રાખવા માટે પક્ષની શિસ્ત અને નિયમોનું ચીરહરણ કરવામાં આવ્યું છે, જેનાથી સામાન્ય કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કાર્યકરનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે કાર્યવાહીની માગ
રાજુ બોરખતરીયાએ પત્રના અંતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને વિનંતી કરી છે કે, આ આખા પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે, તેઓ 1996થી પક્ષમાં સક્રિય છે અને તેમના પિતા પણ 1981થી ભાજપ સાથે જોડાયેલા હતા. પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને પક્ષના પાયાના કાર્યકરનો વિશ્વાસ જળવાઈ રહે. હાલમાં આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જૂનાગઢના રાજકીય આલમમાં ભારે ચર્ચાઓ જાગી છે.

Exit mobile version