તપાસ શરૂ થયાના 14 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા તાકીદ
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના વિવાદ પછી, હવે શોના આયોજક સમય રૈનાએ શોના બધા એપિસોડ ડિલીટ કરી દીધા છે. તેમણે એકસ પર પોસ્ટ કરીને આ હોબાળા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ બધું સંભાળવું તેમના માટે મુશ્કેલ બની ગયું હતું. આ ઉપરાંત, સમયે એમ પણ કહ્યું છે કે તે આ સમગ્ર મામલામાં એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપશે.
સમય રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું ન જે કંઈ થઈ રહ્યું છે તે મારા માટે ખૂબ વધારે છે. મેં મારી ચેનલ પરથી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના બધા વિડીયો દૂર કરી દીધા છે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો અને તેમને સારો સમય આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી ખાતરી કરી શકાય કે તેમની તપાસ નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય.
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસમાં, સમય રૈનાના વકીલોએ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો હતો. સમય રૈનાના વકીલોએ મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે સમય હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને તે 17 માર્ચે મુંબઈ પાછો આવશે. મુંબઈ પોલીસે રૈનાની ટીમને સ્પષ્ટપણે કહ્યું છે કે પોલીસ તપાસ આટલા દિવસો સુધી રોકાઈ શકે નહીં, તેથી, રૈનાએ તપાસ શરૂૂ થયાના 14 દિવસની અંદર પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
ખાર પોલીસે અત્યાર સુધીમાં ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ અંગે 6 લોકોના નિવેદનો નોંધ્યા છે. પોલીસે આશિષ ચંચલાની અને અપૂર્વ માખીજાના પણ નિવેદન લીધા છે. અપૂર્વ માખીજા અને આશિષ ચંચલાનીએ પોતાના નિવેદનમાં આ શો વિશે કહ્યું હતું કે તે સ્ક્રિપ્ટેડ નથી. શોમાં, ન્યાયાધીશો અને સહભાગીઓને ખુલીને વાત કરવાનું કહેવામાં આવે છે.