આંગણવાડીના બાળકો પ્રાયોરિટીમાં પાછળ ધકેલાયા, રેશનકાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નથી
ગુજરાતમાં શિક્ષણના અધિકાર (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા અનામત બેઠકો પર પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા RTE પ્રવેશ માટેની અરજી કરવાની અંતિમ તારીખ લંબાવીને હવે 23 એપ્રિલ કરવામાં આવી છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વાલીઓને જરૂૂરી દસ્તાવેજો, ખાસ કરીને આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને અન્ય વહીવટી કાગળો મેળવવામાં પડી રહેલી મુશ્કેલી છે. અનેક વાલીઓએ રજૂઆત કરી હતી કે સરકારી કચેરીઓમાં દસ્તાવેજોની પ્રક્રિયામાં સમય લાગી રહ્યો હોવાથી તેઓ નિયત સમયમર્યાદામાં ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી.આ બાબતને ગંભીરતાથી લઈને સરકારે પ્રવેશ પ્રક્રિયામાં વધુ સમય આપવાનો નિર્ણય કર્યો છે જેથી કોઈ પણ પાત્ર બાળક શિક્ષણના આ અધિકારથી વંચિત ન રહી જાય.
નવી સમયમર્યાદા મુજબ, વાલીઓ હવે 23 એપ્રિલ સુધી ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની અરજી સબમિટ કરી શકશે. આ વધારાના સમયથી રાજ્યભરના હજારો પરિવારોને મોટી મદદ મળશે જેઓ પોતાના બાળકોને નામાંકિત ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ અપાવવા માંગે છે.આ વખતે RTE એડમિશનમાં રહેઠાણના પુરાવા તરીકે રાશનકાર્ડ માન્ય રાખવામાં આવ્યું નથી. આ ઉપરાંત આંગણવાડીના બાળકોને પ્રાયોરિટી કેટેગરીમાં પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં RTEની 6062 સીટ સામે 20,333 ફોર્મ ભરાયા છે. કુલ જગ્યા સામે ત્રણ ગણાથી વધુ ફોર્મ ભરાયા છે. જેથી એવું ચોક્કસ કહી શકાય કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ મળતા નથી અને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે વિદ્યાર્થીઓની કતાર લાગે છે.

