સંતો સાથે બેઠક, આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની ઉપસ્થિતિ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે, પ્રવાસના પ્રથમ દિવસે મોહન ભાગવતે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ વડતાલધામ સ્થિત સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા.વડતાલ ધામ પહોંચેલા મોહન ભાગવતનું મંદિરના ગોપાળાનંદ ભુવન ખાતે સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. અહીં તેમણે ભગવાનના દર્શન કર્યાં હતા. જે બાદ મંદિર પરિસરમાં આવેલા અક્ષર ભુવન અને હરી મંડપની પણ મુલાકાત લીધી હતી.
આરએસએસ વડાએ મંદિરના આચાર્ય તેમજ વરિષ્ઠ સંતો સાથે બેઠક યોજી વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. જ્યાં તેમણે મંદિરના ઇતિહાસ અને સંપ્રદાયની પ્રવૃતિઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડતાલ પીઠના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મોહન ભાગવતે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, ધર્મ એ સત્ય પર આધારિત છે. તે માત્ર પૂજા-પાઠ નથી, પણ સૌને સાથે લઈને ચાલનારો અને સૌની ઉન્નતિ કરનારો નિયમ છે. જ્યારે મનુષ્ય સત્યને સમજે છે, ત્યારે તેનામાં કરુણા જન્મે છે. ’બધા મારા પોતાના છે’ એવો ભાવ જાગે , ત્યારે વ્યક્તિ બીજાના સુખ-દુ:ખમાં ભાગીદાર બને છે અને પોતે કષ્ટ વેઠીને પણ બીજાના દુ:ખ દૂર કરવાનો પ્રયત્ન કરે છે.

