Site icon Gujarat Mirror

સલાયા ગામે રોકડ, દાગીના સહિત રૂા.3.30 લાખની ચોરી

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે એક રહેણાંક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 3 લાખ 30 હજારના મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ ભીખાભાઈ બારીયા નામના 44 વર્ષના યુવાન ગત તારીખ 25 ના રોજ તેમના પત્ની તથા પુત્ર સાથે જુનાગઢ ખાતે રહેતા તેમના ભત્રીજીના ઘરે ગયા હતા. પાછળથી આ રહેણાંક મકાનમાં રહેલા તેમના પુત્ર અંકિત ઘરે એકલા હતા અને રૂૂમમાં સુતા હતા, ત્યારે રાત્રિના સમયે કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી, અને ઘરના કબાટમાં રાખવામાં આવેલા બે નંગ સોનાના ચેન, બે નંગ સોનાના પેન્ડલ, કાનમાં પહેરવાની બુટ્ટી, સોનાના પારા, પાંચ નંગ સોનાની વીંટી ઉપરાંત રૂૂ. 10,000 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું.

આમ, તસ્કરોએ તા. 25 ના રોજ રાત્રીથી તા. 26 ના સવાર સુધીના સમયગાળા દરમિયાન અનધિકૃત રીતે પ્રવેશ કરી, અને કુલ રૂૂ. 3 લાખ 30 હજારનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ કાંતિભાઈ બારીયા દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આને અનુલક્ષીને પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી ગઈ જઈ, અને ડોગ સ્ક્વોડ તથા એફ.એસ.એલ.ની મદદથી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version