ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહા શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને મેળા દરમિયાન પાર્કિંગની જરૂૂરિયાતને પહોંચી વળવા માટે તંત્રએ ધારાગઢ અને સરદાર બાગ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન કરોડો રૂૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દશરથસિંહ જાદવના જણાવ્યા અનુસાર, ધારાગઢ રોડ પર અંદાજે 1200 વાર જગ્યામાં ગેરકાયદે રીતે બે મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. આ મકાન માલિકોને અગાઉ નોટિસ પાઠવી પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ માન્ય દસ્તાવેજો રજૂ ન કરી શકતા આજે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. આ જમીનની બજાર કિંમત 1 કરોડ રૂૂપિયાથી વધુ અંકાય છે. હવે આ જગ્યાનો ઉપયોગ શિવરાત્રી મેળામાં આવતા શ્રદ્ધાળુઓના વાહન પાર્કિંગ માટે કરવામાં આવશે.
તંત્રની બીજી ટુકડીએ શહેરના વ્યસ્ત એવા સરદાર બાગ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. અહીં છેલ્લા ઘણા સમયથી 630 ચોરસ મીટર સરકારી જમીન પર 16 જેટલા કાચા-પાકા મકાનો બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ આ તમામ દબાણોને હટાવીને 1 કરોડથી વધુની કિંમતની જમીન કબ્જે કરી છે. અહીં રહેતા લોકોને પૂરતો સમય અને નોટિસ આપવામાં આવી હોવા છતાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા અંતે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ ઉમટી પડે છે, જેને કારણે પાર્કિંગ અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કલેક્ટર અને સીટી સર્વે વિભાગ દ્વારા મેળાને અડીને આવેલા વિસ્તારોમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાનું અભિયાન હાથ ધરાયું છે. ધારાગઢની ખુલ્લી થયેલી જગ્યાને પાર્કિંગ પ્લોટ તરીકે વિકસાવવામાં આવશે, જેથી પ્રવાસીઓને અગવડતા ન પડે.

