Site icon Gujarat Mirror

દ્વારકાધીશ મંદિર-દરિયાઈ સુરક્ષાના એક્શન પ્લાનમાં સુધારાની તૈયારી

રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ દ્વારા ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ ઈન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઈન્સ્પેક્શન કામગીરી સાથે સાથે તેમના દ્વારા જિલ્લાના આગેવાનો, ઈન્ડસ્ટ્રીઝ, ફીશરમેન એસો. સાથે મીટીંગ કરી, જિલ્લા સુરક્ષાની પ્રાથમિકતાઓ સહિતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા તમામ ફીશરમેન અને સ્થાનીકોનો સાથ સહકાર રાખી દરીયાઈ સુરક્ષાને પ્રાધાન્યતા આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરની સુરક્ષા તેમજ અહીં આવતા યાત્રીકોની સલામતી અને સુખાકારી જળવાય તે માટે પોલીસ એકશન પ્લાનમાં સુધારો કરવામાં આવશે તેમ પણ આઈ.જી. અશોક કુમારે જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના સ્થાનિક આગેવાનોને જાગૃત કરાયા છે અને આ સંવેદનશીલ વિસ્તાર ગણાતો હોય, કોઈપણ સંદિગ્ધ માહિતી કે સૂચના જણાય તો તુરંત પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે.વધુમાં આઈ.જી.એ જણાવેલ કે આ દરીયાઈ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર હોય સુરક્ષા એજન્સીઓ દ્વારા સંકલન કરી, મલ્ટીલેયર કામગીરી થતી હોય છે. જેમાં કોસ્ટગાર્ડ, નેવી તેમજ ગુજરાત પોલીસની એ.ટી.એસ. તેમજ દરેક જિલ્લામાં સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા કામગીરી કરાય છે.

દરીયાઈ વિસ્તારમાં ગ્રામીણ તથા વ્યુહાત્મક સ્થળોએ રહેતા લોકોને ખાસ ઝુંબેશ હાથ ધરી તાલીમ આપી ભવિષ્યમાં દેશ વિરોધી થતી પ્રવૃત્તિઓની સામે પોલીસને ગ્રુપની રચના કરી તુરંત એક્શનમાં આવે તે રીતે તૈયાર કરવામાં આવનાર છે. આ કામગીરીમાં લોકો સાથ સહકાર આપે તેવી અપીલ પણ કરવામાં આવી છે.આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ સાથેના અધિકારીઓ ઉપરાંત નગર પાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, સહિતના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version