સુરતથી દેરડીકુંભાજી જતી ખાનગી બસના ચાલકે કાવા મારી સજર્યો અકસ્માત
જસદણ નજીક વહેલી સવારે ઓવરસ્પીડમાં જઇ રહેલી સુરત-દેરડીકુંભાજી રૂટની ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં 11 જેટલા મુસાફરોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ખાનગી બસનો ચાલક ઓવરસ્પીડમાં બસ ચલાવી કાવા મારતો હતો. જે અંગે ત્રણથી ચાર વખત ટપારવામાં આવ્યો હતો. પરંતુ ડ્રાઇવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાનો મુસાફરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં સુરતથી દેરડીકુંભાજી ડેઇલી સર્વિસ રૂટમાં ચાલતી શક્તિધામ નામની ખાનગી બસ જસદણ નજીક વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જે બસમાં સવાર 22 જેટલા મુસાફરોમાંથી 11 લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિકો અને જસદણ પોલીસ મથકના પી.આઇ ગોસાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ અને સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલીક સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં શક્તિધામ નામની ખાનગી બસ ડેઇલી સુરતથી દેરડીકુંભાજી ચાલે છે. ગઇકાલે રાત્રીના 22 જેટલા મુસાફર ભરી બસ સુરતથી દેરડીકુંભાજી જઇ રહી હતી. તે દરમ્યાન બસનો ચાલક બસ ઓવરસ્પીડમાં ચલાવી કાવા મારતો હતો. જે અંગે મુસાફરોએ બસ ચાલકને ટકોર પણ કરી હતી. તેમ છતાં ડ્રાઇવરે પોતાની મનમાની ચલાવી મુસાફરોના જીવ જોખમમાં મુકી બસ ઓવરસ્પીડમાં ચલાવી અકસ્માત સર્જયો હોવાનુ મુસાફરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

