ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ નગરપાલિકાને મહત્વનો આદેશ આપ્યો છે. નેશનલ હાઈવે 47 અને શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરોને કારણે સર્જાતી સમસ્યાઓને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો છે.
હાઈવે પર ઓનેસ્ટ હોટલથી જલારામ મંદિર સુધી, ચોટીલા-થાનગઢ રોડ, આણંદપુર રોડ અને નગરપાલિકા વિસ્તારના રસ્તાઓ પર ગાય, આંખલા અને ખુંટિયા જેવા ઢોર અવરોધ ઊભા કરે છે. આ ઢોર અચાનક રસ્તા વચ્ચે આવી જતાં અકસ્માતની સંભાવના રહે છે. વાહનચાલકો અને રાહદારીઓના જીવને જોખમ ઊભું થાય છે.
રખડતા ઢોરોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આના કારણે વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. 108 જેવી ઇમરજન્સી સેવાઓ પણ સમયસર પહોંચી શકતી નથી. ઢોર દ્વારા ફેલાતી ગંદકીથી રોગચાળાનું જોખમ પણ રહે છે.
આમ છતા નગરપાલિકાનું નધરોળ તંત્ર જાગતું નથી મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 152 હેઠળ નગરપાલિકાને 15 દિવસમાં ઢોર હટાવવાનો આદેશ આપ્યો છે. જો આદેશનું પાલન ન થાય તો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ઢોર હટાવવાનો ખર્ચ નગરપાલિકાની મિલકત જપ્ત કરીને વસૂલ કરવામાં આવશે.

