’મહેસાણાના કડી ખાતે આયોજિત એક સન્માન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. હાલમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્ય તરીકે જવાબદારી સંભાળતા નીતિન પટેલે સ્પષ્ટ કર્યું કે, ઉમેદવારોની પસંદગીમાં કોઈપણ પ્રકારનો વ્યક્તિગત લગાવ કે ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે પક્ષ માત્ર યોગ્યતા અને કાર્યક્ષમતાના આધારે જ ટિકિટની ફાળવણી કરશે.
પોતાના સંબોધનમાં નીતિન પટેલે પ્રદેશ અધ્યક્ષના સૂત્ર “મારો એ સારો નહીં, પરંતુ સારો એ મારો” ને યાદ અપાવતા કહ્યું કે, પક્ષ માટે ઉમેદવારની લોકપ્રિયતા અને નિષ્ઠા સર્વોપરી છે. જે ઉમેદવાર જમીન સાથે જોડાયેલો હશે અને પ્રજાના કામો માટે કટિબદ્ધ હશે, તેને જ પ્રાધાન્ય આપવામાં આવશે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે આગામી ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓને તક મળી શકે છે અને વગદાર લોકોની ભલામણો બાજુ પર રહી શકે છે.
રાજ્યમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ સામે ટૂંકા ગાળામાં વિશાળ સંખ્યામાં ઉમેદવારો પસંદ કરવાનો મોટો પડકાર છે. આગામી 45 દિવસમાં અંદાજે 10,000 થી વધુ ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઘણી સ્થાનિક સંસ્થાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવાથી આ પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને ઝડપી બનાવવાની તૈયારીઓ પક્ષ દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે.

