દક્ષિણ ગુજરાતનું ગૌરવ અને જેની હાફુસ-કેસરની સુવાસ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. તેવા વલસાડ જિલ્લાના ખેડૂતો આજે આસું સારી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં જે રીતે સતત પલટો આવી રહ્યો છે. તેણે આંબાવાડીઓના માલિકોની કમર તોડી નાખી છે. કમોસમી વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણને કારણે આંબા પર આવેલો મોર બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતોનું માનવું છે કે આ વર્ષે માત્ર 20 થી 30 ટકા જ ઉત્પાદન માંડ બચ્યું છે.
વલસાડ જિલ્લો કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે. જે આંબાવાડીઓ દર વર્ષે કેરીના વજનથી લચી પડતી હતી, ત્યાં આજે નરી આંખે નિરાશા દેખાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ અને અતિશય ધુમ્મસને કારણે આંબા પર આવેલો કિંમતી ’મોર’ એટલે કે ફૂલ સંપૂર્ણપણે બળી ગયા છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 70 થી 80 ટકા પાકને નુકસાન થઈ ચૂક્યું છે.
હવે આંબા પર માત્ર 20 થી 30 ટકા જેટલી જ કેરીઓ બચી છે. આ સ્થિતિ ખેડૂતો માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ રહી છે. કારણ કે દવાના છંટકાવ અને મજૂરીનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે.ઉત્પાદન ઘટવાને કારણે આ વર્ષે કેરીની સિઝન મોડી તો શરૂૂ થશે જ, સાથે સાથે બજારમાં આવક પણ ખૂબ ઓછી રહેશે. જ્યારે પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ ભાવમાં તોતિંગ વધારો જોવા મળી શકે છે. એટલે કે, આ વર્ષે સામાન્ય જનતા માટે ફળોનો રાજા ગણાતી કેરીનો સ્વાદ ’ખાટો’ એટલે કે મોંઘો સાબિત થશે.
ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી ઋતુચક્રની સીધી અસર હવે આપણા ખેતરો પર દેખાઈ રહી છે. વલસાડનો ખેડૂત અત્યારે સરકાર સામે મદદની મીટ માંડીને બેઠો છે. જો યોગ્ય વળતર કે સહાય નહીં મળે, તો આ વર્ષ ખેતી ક્ષેત્ર માટે ઘણું કપરૂૂં સાબિત થશે.

