ઇન્સ્ટાગ્રામમાં 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા
સોશિયલ મીડિયા સ્ટાર અને હરિયાણવી ગીતોની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા સિરોહીએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. દિવ્યાંકાની મોટી બહેન આરતીએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ દુખદ જાણકારી આપી હતી. પરિવારના જણાવ્યા મુજબ, મંગળવારે દિવ્યાંકાની તબિયત સામાન્ય હતી. તેણે પોતાના ભાઈ માટે જમવાનું પણ બનાવ્યું હતું.
જોકે, તેણે સામાન્ય અસ્વસ્થતાની વાત કરી હતી. તેનો ભાઈ કોઈ કામ અર્થે બહાર ગયો હતો અને જ્યારે પરિવારના સભ્યો પરત ફર્યા ત્યારે દિવ્યાંકા મૃત હાલતમાં મળી આવી હતી. દિવ્યાંકા સિરોહીએ પોતાના કરિયરની શરૂૂઆત ટિકટોક વિડિયોથી કરી હતી. સુનંદા શર્માના ગીત પર બ્લૂ સૂટ પહેરીને બનાવેલા તેના એક વિડિયોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી, જે વિડિયોને 20 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા હતા. તેણે અનેક હરિયાણવી મ્યુઝિક વિડિયોમાં કામ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા.નિધન બાદ તેની એક જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે લખ્યું હતું કે, “ભગવાન શિવ મને તમારી પાસે બોલાવી લો.”

