Site icon Gujarat Mirror

શાપર-વેરાવળની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ

બે દિવસ પૂર્વે ગુમ થયેલી સગીરાને પોલીસે રાજકોટથી શોધી કાઢી, આરોપીની ધરપકડ

શાપર-વેરાવળ વિસ્તારમાંથી બે દિવસ પૂર્વે ગુમ થયેલી સગીરાને એક શખસ ભગાડી ગયાનું જાણવા મળ્યા બાદ શાપર-વેરાવળ પોલીસે શખસ સામે અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરતા તે ભોગ બનનાર સાથે રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં હોવાની માહિતીને આધારે આ શખ્સને ઝડપી લઇ અપહૃત સગીરાને મુકત કરાવી પરિવારને સોંપી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીરાનું અપહરણ કરી ભગાડી ગયેલ શખસે સગીરા સાથે મારકુટ કરી અલગ અલગ સ્થળે લઇ જઈ ટેનીસ સાથે દુષ્કર્મ આચર્યુ હોય આ મામલે શાપર વેરાવળ પોલીસે પોકસો સહિતની કલમોનો ઉમેરો કરી સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર પુત્રી ઘરેથી લાપતા બનતા પરિવારજનોએ શોધખોળ કરી હતી.દરમિયાન નવાગામ રંગીલા ઢોરાપર રહેતો વિશાલ ચંદુભાઈ જાડા (ઉ.22) નામનો શખસ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની પરિવારજનોને શાપર-વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પીઆઈ આર.બી.રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે વિવિધ ટીમો બનાવી ટેકનીકલ સોર્સના આધારે તપાસ હાથ ધરતા આરોપી રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં હાજર હોવાની માહિતી મળતા શાપર વેરાવળ પોલીસ ટીમ રાજકોટ દોડી આવી હતી. દરમ્યાન આરોપી અપહૃત સગીરા સાથે મળી આવતા પોલીસે શખસના સકંજામાંથી મુકત કરાવી આરોપીની ધરપકડ કરી હતી.

ભોગ બનનાર સગીરાએ પરિવારને જણાવ્યું હતું કે વિશાલે મારકુટ કરી વિવિધ સ્થળે તેણી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખસ સામે પોકસો સહિતની કલમોનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં આરોપીને સગીરા સાથે પ્રેમસંબંધ હોવાથી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી શાપર-વેરાવળ પોલીસ મથકના પી.આઈ આર.બી.રાણા સાથે એ.એસ.આઇ. ક્રિપાલસિંહ રાણા,મહેન્દ્રભાઇ ધાધલ, તુષારસિંહ જાડેજા, જયદિપસિંહ વાઘેલા, મયુરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા,લગધિરસિંહ જાડેજા, પિયુષભાઇ અઘેરા, નિલેષભાઇ ડાભી તથા મહીલા પોલીસ કોન્સટેબલ કિંજલબેન માટીયાએ કામગીરી કરી હતી.

Exit mobile version